સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th July 2018

સોમનાથ બાયપાસથી કાજલી સુધીનો રસ્તો અતિ બિસ્માર

પૂલ ઉપરના રસ્તા ઉપર મોટા ખાડાઓ : વાહનો ચલાવવામાં હાલાકી

પ્રભાસપાટણ, તા. ૧૩ :. સોમનાથ બાયપાસથી કાજલી ગામ સુધીનો હાઈવે રોડ અતિ બિસ્માર બનેલ છે. રોડ ઉપર મોટા ખાડાઓ પડી ગયેલ છે. આ દોઢથી બે કિ.મી.ના રસ્તામાં મોટા ખાડાઓને કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી જાય છે.

સૌથી વધુ ખરાબ રસ્તો હિરણના પૂલ ઉપરનો છે. આ પૂલ સાંકળો હોવાથી બે મોટા વાહનો સામસામે આવે ત્યારે થોડી પણ જગ્યા રહેતી નથી અને માંડ વાહનો પસાર થાય છે અને તેમા મોટા ખાડાઓ અને આ ખાડાઓમાં પાણી ભરાયેલ જેથી વાહનો આ ખાડામાં અથડાય છે. જેના કારણે આ પૂલને નુકશાન પહોંચે છે. આ પૂલ ઉપરથી વેરાવળ-કોડીનાર-ઉના જવા માટે એક માત્ર આ રસ્તો છે. તેમા આ વાહનો અને જીએચસીએલ, સિદ્ધિ સિમેન્ટ, અંબુજા સહિતના મોટા મોટા હેવી વેઈટ ટ્રકો પસાર થાય છે. જેથી પૂલના ખરાબ રસ્તાને કારણે આ પૂલ સતત નબળો પડતો જાય છે. આ પૂલ જૂનો હોવા છતાં મજબુત છે છતા આ રસ્તો રીપેરીંગ ન કરવાથી પૂલ નબળો પડતો જાય છે. જો આ પૂલને કાંઈ પણ નુકશાન થાય તો વેરાવળ-કોડીનારનો સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ થઈ શકે છે અને અન્ય કોઈ વિકલ્પ નથી. આવો ખૂબ જ મહત્વનો પૂલ હોવા છતાં જવાબદાર લોકોની ભયંકર ગુનાહીત બેદરકારીને કારણે રીપેરીંગ કરવામાં આવતુ નથી.

આ ખરાબ રસ્તાને કારણે બાઈક ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડે છે અને રસ્તામાં ખાડાઓમાં પાણી ભરાયેલ હોવાથી અંદાજ આવતો નથી અને બાઈકો સ્લીપ થવાના વારંવાર બનાવો બને છે જેથી આ રસ્તો તાત્કાલીક રીપેરીંગ કરવા માંગણી ઉઠેલ છે.

(11:41 am IST)