મોરબીમાં બીએપીએસ સ્વામીનારાયણ મંદિરનો શિલાન્યાસ મહોત્સવનો પ્રારંભઃ મહંત સ્વામીનું સામૈયુ
મોરબી, તા.૧૩: બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના શિખરબદ્ઘ મંદિરના શિલાન્યાસ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે જે પ્રસંગે મહંત સ્વામી અને કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા સહિતના મહાનુભાવો ખાસ પધાર્યા હતા જેની પ્રેરક હાજરીમાં મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે બીએપીએસ સંસ્થાના પરમાધ્યક્ષ પૂજય મહંત સ્વામીનું સ્વાગત અને સામૈયું કરવામાં આવ્યું હતું.
મોરબીના સામાકાંઠે આવેલ બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના શિલાન્યાસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજે તા. ૧૨ થી ૧૭ સુધી ચાલનાર શિલાન્યાસ મહોત્સવના શુભારંભ પ્રસંગે મહંત સ્વામી તેમજ કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા તેમજ સાંસદ મોહનભાઈ કુંડારિયા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારસભ્ય બ્રિજેશભાઇ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, પરષોતમભાઈ સાબરીયા, કલેકટર આર જે માકડિયા, સિરામિક ઉદ્યોગપતિઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બીએપીએસ સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજય મહંત સ્વામી મહારાજે મચ્છુના તટે આવેલ મોરબીની ધરાને સૌપ્રથમ વખત પધારીને પાવન કરી છે અને તારીખ ૧૭ જુન સુધી મોરબીમાં રોકાણ કરશે જે પ્રેરક ઉપસ્થિતિમાં વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રેરક પ્રદર્શન અને સત્સંગ સભા તથા પારાયણ યોજાશે.(૨૩.૫)