સોનુ હોવાની માન્યતાના પગલે શિવમંદિર ગર્ભગૃહમાં તોડફોડ
મોરબીના જુના સાદુળકા ગામમાં મંદિરમાં આવુ કૃત્ય કરનારા સામે ભભુકતો રોષ
મોરબી, તા.૧૩: મોરબી તાલુકાના જુના સાદુંળકા ગામે આવેલા શિવ મંદિરના ગર્ભગૃહ નીચે સોનું હોવાની માન્યતાને પગલે મંદિરમાં રાત્રીના તોડફોડ કરવામાં આવી હતી અને ગર્ભગૃહમાં બધું ખોદી નાખવામાં આવ્યું હતું.
જુના સાદુંળકા ગામ ભૂકંપ બાદ નવું વસ્યું હોય અને જુના ગામથી થોડે દુર નવું ગામ બનાવાયું છે અને જુના ગામમાં આવેલા શિવ મંદિરમાં નીચે સોનું દાટ્યું હોવાની માન્યતાને પગલે ગત રાત્રીના મંદિરના ગર્ભગૃહમાં તોડફોડ કરી નાખવામાં આવી છે અને મંદિરમાં ભારે નુકશાની પહોંચાડાઇ છે આ અંગે ગ્રામજનો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ પણ મંદિરમાં ભોયરૂ બનાવેલું જોવા મળ્યું હતું અને કેટલાક લોકો મંદિરમાં સોનું હોવાની માન્યતાને પગલે મંદિરને નિશાન બનાવી રહ્યા છે જોકે મંદિર નીચે ખરેખર સોનું છે કે નથી, મંદિર કેટલું પ્રાચીન છે તેની સચોટ માહિતી પ્રાપ્ત થઇ સકી નથી પરંતુ મંદિરમાં સોનું હોવાની વાતને પગલે અગાઉ પણ આવા કૃત્ય કરવામાં આવ્યા હતા તો શિવ મંદિરમાં તોડફોડથી ભકતોમાં નારાજગી જોવા મળી છે અને ગ્રામજનો આવું કૃત્ય કરનાર સામે રોષ ઠાલવી રહ્યા છે.