તળાજાની મથાવડાની શાળામાંથી ૪ શિક્ષકોની બદલીની માંગણી સાથે તાળાબંધી
ભાવનગર તા. ૧૨: અલંગ નજીકના મથાવડા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતા બે શિક્ષકો વિરૂધ્ધ દુષ્કર્મ આચરવુ અને મદદગારી કરવી તેવા લાગેલા આરોપો બાદ ગત તા. ૨૫/૫/૧૮ ના રોજ શાળાની એસ.એમ.સી. કમીટી દ્વારા તળાજા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને આજ શાળાના ચાર શિક્ષકો ધાંધલ્યા નરેશભાઇ બટુકભાઇ, જાળેલા હેરેશભાઇ કરૂણાશંકર, ભટ્ટ જસવંતરાય શિવશંકર, રાવળ રમેશચંદ્ર જગેશ્વરભાઇ વિરૂધ્ધ નબળી કામગીરી અને વાલીસાથેનું વર્તન સંંતોષ જનક નહોય તેનો રીપોર્ટ કરેલ હતો.
શાળાની એસએમસી કમીટીના ૧૩ સભ્યોની સહી સાથે પંદર દિવસ થી રીપોર્ટ થયા છતા તળાજાના પ્રા.શા. અધિકારીઓ જવાબદારી સાથે મધ્યસ્થી બની કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, શાળાખાતે હલ્લા બોલ ન થાય તેવું કામ કરવામાં બેદરકારી દાખવી હતી.
જેને લઇ આજે ખુલતા વેકેશને જ શાળાખાતે શિક્ષકો આવે તે પહેલાજ શાળાખાતે ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઇ હલ્લાબોલ કરી દિધો હતો. સાથે તાળાબંધી કરી દીધી હતી.
જેને કારણે અલંગ રુરલ અને મરીન પોલીસ બંને કચેરીના પોલીસ અધિકારીને ટીમ સાથે કાયદો-વ્યવસ્થા જાળવવા દોી જવું પડયું હતું. પો સબ. ટી.એસ. રીઝવીએ શિક્ષણ અધિકારીની ફરજ નિષ્ઠાના પાયે ઉશ્કેરાયેલા ગ્રામજનોને કાયદો હાથમાં ન લેવા જાહેરમાં સમજાવવા પડયા હતા.
બબાલના પગલે શિક્ષણ અધિકારી અને પ્રા. શાળા શિક્ષક સંઘના પ્રમુખ શાળાખાતે દોડી ગયા હતા. લોકોને સમજાવી દિવસ ૨૦ માં યોગ્ય કરવાની ખાત્રી ગ્રામજનોને આપતા શૈક્ષણિક કાર્ય શરુ થયું હતું.
તળાજા તાલુકા પ્રા.શાળાના શિક્ષક સંઘના પ્રમુખ વજેરામભાઇ લાઘવા એ જણાવ્યું હતું કે, ટીપીઓ ને એસએમસી નો પત્ર મળતાજ જિલ્લા કચેરીને મોકલવામાં આવેલ જેના કારણે જિલ્લા પ્રા.શિ. અધિકારી એ આવી એસ.એમ.સી.ના પ્રમુખ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ તપાસનો આદેશ જિલ્લા લેવલેથી ટીપીઓને કરવાનો હોઇ તે ન કરતા ટીપીઓ આગળની કાર્યવાહી ન કરી શકતા મામલો આજે ગરમાયો હતો.
શિક્ષકોની બદલી ના મામલે થયેલ ચર્ચાના કારણોમાં સૂત્રોએ જણાવ્યું હતું કે ચાલ ચલનગત, યોગ્ય અભ્યાસ કરાવવો નહીં, મોબાઇલ પર વાતો કરે રાખવી, શાળાએ આવી સુઇ જવું વ્યવસાય કરતા હોઇ શાળામાં સહી કરી વ્યવસાયના સ્થળે જતું રહેવું તેવા આરોપો લગાવી શિક્ષકોની બદલીની માંગ આજે ઉગ્ર બની હતી.
સરકાર ખોબો ભરીને શિક્ષકોને પગાર આપે છે. તેમ છતા તળાજા તાલુકાની કેટલીક પ્રાથમિક શાળાઓમા શિક્ષકો મનસ્વી રીતે વર્તન કરે છે. અવાર-નવાર ગુરુઓની વિદ્યાર્થીનીઓ સાથે લંપટ લીલા બહાર આવે છે. હાઇસ્કૂલ ધો. ૯માં આવતા વિદ્યાર્થીઓને પુરતુ અક્ષરજ્ઞાન હોતું નથી. સામાન્ય દાખલાઓ કે વાંચન, ગણન અને લેખનમાં તકલીફ પડે છે. સતત શિક્ષણ કથળી રહયું હોવા છતા શિક્ષાઅધિકારી દ્વારા કડક પગલા લેવામાં આવતા નથી તેવી વાલીવર્ગની લાગણી સાંભળવા મળી રહી છે.