સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th June 2018

કચ્છમાં બાળકોને ઉપાડી જતી ટોળકીની અફવા વચ્ચે ૪ નવાણીયા કુટાયા

ભુજ તા. ૧૩ : અજરખપુરમા બે બાળકોના અપહરણ અને એક ના મૃત્યુ તેમજ અન્ય ને થયેલી ઇજાઓ બાદ છેલ્લા એક અઠવાડિયા થી બાળકોના અપહરણની અફવાઓનો દોર ચાલી રહ્યો છે. બે દિવસ પહેલા ભુજના ભીડગેટ પાસે એક બાળકનું કોઈ શખ્સો અપહરણ કરી રહ્યા છે એવી અફવાને પગલે દોડતા થયેલા લોકોએ એક અજાણ્યા ઇસમને ઝડપી પોલીસને સોંપ્યો હતો.

જોકે, પૂછપરછ દરમ્યાન એવી હકીકત સામે આવી હતી કે એ બાળકને કોઈ અજાણ્યા શખ્સએ કંઇક પૂછપરછ કરતા તે ડરીને મસ્જિદમાં દોડી ગયો હતો અને બુમાબુમ કરી હતી એટલે લોકો સમજયા કે તેનું અપહરણ થઈ રહ્યું છે. જયારે લોકોએ પકડેલ શકમંદ શખ્સ પાગલ હતો. તેની વચ્ચે રવિવારે કેરા ગામ માં બાળકનું અપહરણ કરવા વાળી ટોળકી આવી છે એવી ચર્ચા સાથે અફવા ફેલાઈ હતી.

ત્યારબાદ ગઈકાલે ભુજ માં બીજા બનાવમાં પવૈયાનો વેશ પહેરેલા યુવાન બાળકના અપહરણના શક થી કુટાઈ ગયો હતો. જે પોલીસની મદદથી માંડ છૂટ્યો હતો. એ જ રીતે ગઈકાલે મુંદરા ના રામણીયા ગામે બે યુવાન ફેરિયાઓ અપહરણના શક થી કુટાયા હતા પોલીસને સોંપાયા બાદ તેઓ નિર્દોષ હોવાનું ખુલ્યું હતું. કચ્છમાં ચાલી રહેલા અપહરણની અફવાના દોર વચ્ચે પોલીસ આ ઘટનાને ગંભીરતાથી લઇ રહી છે અને લોકોની જાગૃતી ને પણ બિરદાવવા સાથે પશ્ચિમ કચ્છ પોલીસે અપીલ કરી છે કે આવી ઘટનામા કોઇ સત્ય જણાય તો નજીકના પોલિસ મથકનો સંપર્ક કરવો. લોકોએ કાયદો હાથમા ન લેવો.

બીજી તરફ ગામના જાગૃત લોકો સાથે પોલીસ બેઠક કરી તેમને અફવાઓ તરફ ધ્યાન ન આપવા સાચી સમજ આપી રહી છે. જેથી આવુ કઇ બને તો સત્ય બહાર આવે ખોટી અફવા ફેલાય નહી. કેમકે અત્યાર સુધી આવી કોઈ ગેંગ કચ્છમા ઉતરી હોય તેવુ પોલીસની તપાસમા કયાય સચોટ રીતે સામે આવ્યુ નથી. જો કે પુર્વ અને પશ્ચિમ કચ્છ પોલિસ રાત્રી પેટ્રોલીંગથી લઇ શંકાસ્પદ લાગતા તમામ ઇસમોની પુછપરછ અને તપાસ પણ કરી રહી છે.

(11:28 am IST)