સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th May 2021

આપણુ ગામ કોરોના મુકત ગામ

કોઈપણ આફતના સમયે દરેક વર્ગના લોકો એક થઈ આ સંકટનો સામનો કરે તો તેનાથી મુકિત સરળ બને

વિંછીયા તાલુકામાં સૌપ્રથમ પીપરડી ગામે તૈયાર કરાયેલ કોમ્યુનિટી કોરોના કેર સેન્ટરને જનહિતાર્થે ખુલ્લુ મૂકતા કુંવરજીભાઈ બાવળીયા

રાજકોટ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રાજયના સ્થાપના દિન ૧લી મે થી શરૂ કરાયેલ આપણું ગામ કોરોના મુકત ગામ અભિયાન અંતર્ગત વિંછીયા તાલુકાના પીપરડી ગામે શ્રી જ્ઞાનમંદીર વિદ્યાલય ખાતે લોક સહયોગથી તૈયાર કરાયેલ ૧૦ બેડના કોમ્યુનિટી કોવીડ કેર સેન્ટરને રાજયના પાણી પૂરવઠામંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે તાજેતરમાં ખુલ્લુ મુકાયું હતું.

ગ્રામજનોએ લોક સહયોગ અને સંઘભાવના કેળવી તૈયાર કરેલ કોમ્યુનીટી કોવીડ સેન્ટરનું મંત્રીશ્રી બાવળીયાએ નિરીક્ષણ કરી સંતોષ વ્યકત કર્યો હતો. આ સુવિધા તૈયાર કરવા બદલ સર્વે ગ્રામજનોની સરાહના કરતા મંત્રીશ્રી બાવળીયાએ જણાવ્યું હતું કે 'સેવા પરમો ધર્મ' એ આપણી સંસ્કૃતિ છે. કોરોના મહામારી જેવા કપરા સમયે કે અન્ય કોઇ પણ કુદરતી કે માનવ સર્જીત આફતના સમયે સમાજના દરેક વર્ગના લોકો એક થઇને આ સંકટનો સામનો કરે તો જ તેનાથી મૂકિત સરળ બને છે.

મુખ્યમંત્રીશ્રી રૂપાણીના 'આપણુ ગામ કોરોના મૂકત ગામ' અભિયાનનો હેતુ ગ્રામ્ય કક્ષાના કોરોના સંક્રમીત થયેલા પ્રાથમિક લક્ષણો ધરાવતા દર્દીઓને મોટા સેન્ટરો સુધી સારવાર માટે આવવુ ન પડે અને ગ્રામ્યકક્ષાએ જ તેઓને આઈસોલેટેડ રાખી સારવાર આપી શકાય તથા ગ્રામ્ય કક્ષાએ દરેક પાસે કોરોના દર્દીને આઇસોલેશન માટે અલાયદા રૂમની સવલત ન હોય આવા સમયે કોરોનોના દર્દીને કોમ્યુનિટી કોરોના કેર સેન્ટરમાં રાખી સઘન સારવાર, દવાઓ, પૌષ્ટીક આહાર સહિતની તમામ સુવિધા આપવા સાથે દર્દીના કુટુંબમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકે તેવો આશય રહેલો છે.

આ પ્રસંગે ગામના સરપંચ રતીલાલભાઇ પરમાર, તાલુકા વિકાસ અધિકારીશ્રી વિ.આર.રાબા, મેડીકલ ઓફીસર ડો.વીનય ડરાણીયા, સુપરવાઇઝર નટુભાઇ ગામેતી શ્રી જ્ઞાનમંદીર વિદ્યામંદિરના અશ્વીનભાઇ સાંકળીયા તથા અશોકભાઇ કુમરખાણીયા,  આરોગ્યનો સ્ટાફ તથા ગામના અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા. મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ આ ઉપરાંત મોઢુકા ખાતે પણ પ્રાથમિક શાળામાં લોક સહયોગથી તૈયાર કરાયેલ ૧૦ બેડના કોમ્યુનિટી કોરોના કેર સેન્ટરની મુલાકાત લઇ તેને પણ ખુલ્લુ મૂકયું હતું.

(4:19 pm IST)