લાઠી -બાબરા તાલુકામાં વેકિસનનો પુરતો જથ્થો ફાળવો : હજુ અનેક લોકો બાકી
વિરજીભાઇ ઠુંમરની વિજયભાઇ રૂપાણીને રજુઆત
(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૧૩: રાજયમાં લોકો વેકસીનેશન કરવા આગળ આવે તેમજ ભાજપના અગ્રણીઓ પણ જનતાને વેકસીનેશન કરવા આગળ આવે તે માટે પ્રોત્સાહિત કરતા હોય છે સારી બાબત છે પણ પૂરતો રસીનો જથ્થો કયાં? આ વેધક સવાલ સાથે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી બાબરા લાઠી અને દામનગર વિસ્તારોમાં રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા માંગ કરેલ છે
તેઓએ પત્રમાં જણાવ્યું છે કે અપૂરતી રસીના કારણે લાઠી વિધાનસભા વિસ્તાર હજુ ૫૦%ની આસપાસ પણ વેકસીનેશન કરવામાં આવ્યું નથી અને તેમાં પણ બીજો ડોઝ તો હજુ મોટાભાગના લોકોને આપવામાં બાકી છે તો ૧૮ થી ૪૫ વય સુધીના લોકોને કયારે વેકસીનેશન કરાશે તેનું પણ હજુ આરોગ્ય વિભાગ દ્વારા સ્પષ્ટ કરાયું નથી .
હાલ લોકોમાં વેકસીનેશન બાબતે પૂરતી જાગૃતિ આવેલ છે ત્યારે રસીનો જથ્થો ઉપલબ્ધ નહિ હોવાથી લોકોને રસી મેળવવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે લોકો રસી લેવા માટે પીએસસી અને સીએસસી સેન્ટર તેમજ અર્બન સેન્ટર પર ધખા ખાઈ રહ્યા છે હાલ બાબરા અને લાઠી તાલુકામાં ટાર્ગેટ પ્રમાણે ૫૦% સુધી માંડ માંડ વેકસીનેશન કરાયું છે ત્યારે લાઠી અને બાબરા તાલુકામાં વેકસીનનો પૂરતો જથ્થો ફાળવવામાં આવે જેથી લોકોને સમય મર્યાદામાં વેકસીનેશન કરી શકાય.
હાલ કોરોના મહામારીમા વેકસીનેશન માત્ર ઈલાજ હોય ત્યારે લોકોને વેકસીનેશન માટે ભટકવું નો પડે અને સરળતાથી પીએસસી અને સીએસસી સેન્ટરમાં રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લાગણી અને માંગણી ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ છે.