પત્રકારો પર હુમલાનો વિરોધ :કરજણ કોંગ્રેસ સમિતિ અને તાલુકા પત્રકાર સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવાયું.
પત્રકારો પર થયેલા હુમલાને વખોડી કાઢી કસુરવાર પોલીસો વિરુધ્ધ સખ્ત કાર્યવાહીની માંગ
કરજણ :ગઈકાલે જુનાગઢ ખાતે યોજાયેલી મંદિરની ચૂંટણીના કવરેજ માટે ગયેલા પત્રકારો પર પોલીસ દ્વારા કરાયેલા લાઠીચાર્જના વિરોધમાં સમગ્ર પત્રકાર અાલમમાં પોલીસ વિરૂધ્ધ ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. પોલીસના અમાનવીય વર્તનના વિરોધમાં ઠેર ઠેર પત્રકાર સંઘ તેમજ કોંગ્રેસ પક્ષ દ્વારા આવેદનપત્ર પાઠવી પત્રકારો પર થયેલા હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી કસુરવાર પોલીસો વિરુધ્ધ સખ્ત કાર્યવાહીની માંગ કરાઇ રહી છે. જે અંતર્ગત કરજણ કોંગ્રેસ સમિતિ તેમજ તાલુકા પત્રકાર સંઘ દ્વારા કરજણના મામલતદારને એક આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદનપત્રમાં પત્રકારો સામે પોલીસના ગેરવર્તન વિરૂધ્ધ સખ્ત વિરોધ નોંધાવ્યો હતો. આવેદનપત્રમાં કસુરવાર પોલીસ અધિકારી સહિત પોલીસ કર્મીઓને કડક સજાની માંગ કરી હતી. આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં કરજણ શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ, વડોદરા કોંગ્રેસ જિલ્લાના મહામંત્રી ભાસ્કર ભટ્ટ સહિત કોંગી કાર્યકરો તથા કરજણ નગરના પત્રકારો જોડાયા હતા.