રાહુલ ગાંધીની ભાવનગર અને અમરેલી તથા નરેન્દ્ર મોદીની અમરેલી મુલાકાત સંદર્ભે દિલ્હીથી એસપીજીના ધાડા ઉતર્યા
અમરેલી-ભાવનગર અને બોટાદ જિલ્લાના અધિકારીઓ બંદોબસ્તમાં ખડેપગે રહેશેઃ ભાવનગર રેન્જ વડા અશોકકુમાર યાદવ સાથે અકિલાની વાતચીત
રાજકોટ, તા. ૧૩ :. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ૧૫મીએ ભાવનગર અને અમરેલીની મુલાકાતે લોકસભાની ચૂંટણી સંદર્ભે પ્રચારમાં આવનાર હોવા સાથે ૧૭મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમરેલીમાં ભાજપના ઉમેદવારના પ્રચારાર્થે આવતા હોય સભા સ્થળ તથા તે આસપાસના સ્થળોનું નિરીક્ષણ કરવા તથા ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવા દિલ્હીથી એસપીજીના ધાડાઓ ભાવનગરમાં ઉતર્યા છે.
ઉકત બાબતે ભાવનગર રેન્જના વડા અશોકકુમાર યાદવે અકિલા સાથેની વાતચીતમાં એસપીજી સાથે બંદોબસ્ત સ્કીમ તથા બન્ને મહાનુભાવોના સુરક્ષાચક્ર અંગે ચર્ચાઓ થયાનું અને ભાવનગર રેન્જ હેઠળના ભાવનગર-અમરેલી અને બોટાદ જિલ્લામાંથી એસપીઓ તથા અન્ય અધિકારીઓ દ્વારા ખડેપગે રહી બંદોબસ્ત જાળવવામાં આવશે. આ માટે પુરતી તૈયારીઓ હોવાનું પણ ભાવનગર રેન્જ વડા અશોકકુમાર યાદવે વિશેષમાં જણાવ્યુ હતું.