જામનગર ગ્રામ્ય, માણાવદર અને હળવદની ચૂંટણી પણ તુર્તમાં જાહેર
ગુજરાતમાં લોકસભાની સાથે જ પાંચ બેઠકોની પેટાચૂંટણી
રાજકોટ, તા., ૧૩: કોંગ્રેસના ૪ ધારાસભ્યોના રાજીનામાથી અને એક ધારાસભ્ય ગેરલાયક ઠેરવવાથી ખાલી પડેલી પાંચ બેઠકોની પેટાચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે જ ર૩ એપ્રિલે થઇ જનાર હોવાનું જાણવા મળે છે.
આશાબેન પટેલના રાજીનામાથી ખાલી પડેલ ઉંઝા બેઠકની અને ભગાભાઇ બારડ સસ્પેન્ડ થવાથી તાલાળા બેઠક ખાલી પડતા બન્નેની પેટાચૂંટણી જાહેર થઇ ગઇ છે. લોકસભાની ચૂંટણી જાહેર થઇ એ જ અરસામાં માણાવદરના જવાહર ચાવડા, જામનગર ગ્રામ્યના વલ્લભભાઇ પટેલ અને ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પરસોતમ સાબરીયાએ રાજીનામું આપતા વધુ ૩ બેઠકો ખાલી પડી છે. તે ત્રણેય બેઠકો પર પેટાચૂંટણી માટે ટુંક સમયમાં જ જાહેરાત થનાર હોવાનું જાણવા મળે છે. ગઇકાલે ભાજપના રાજયભરના અગ્રણીઓની બેઠકમાં મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ પણ આવો નિર્દેષ કર્યાનું જાણવા મળે છે.
રાજયમાં ર૩ એપ્રિલ મતદાન છે વિધિવત જાહેરનામું ર૮ માર્ચે પ્રસિધ્ધ થશે. ૪ એપ્રિલ સુધી ફોર્મ ભરવાની મુદત છે.