સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

રાજ્ય કક્ષાની ભૂકંપ અંગેની મોકડ્રીલનું જામનગરમાં બે દિવસીય આયોજન

ભૂકંપ જેવી પરિસ્થિતિ દરમિયાન સાવચેત રહો અને સુરક્ષિત બનો

જામનગર તા. ૧૩ : જામનગર જિલ્લો ભુકંપ ઝોન-૪ માં આવતો હોય અને તા.૧૫ અને ૧૬ માર્ચ ૨૦૧૮ના રોજ રાજય કક્ષાની ભુકંપ અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે. ભુકંપ પહેલા, દરમ્યાન અને પછી લેવાના થવાતા પગલાંઓ અંગે લોકોમાં જાગૃતિ નિર્માણ થઇ શકે તેવા હેતુથી ભુકંપ અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે.

ભુકંપ પહેલા લેવાના થતાં પગલાંઓ : ધરતીકંપના કારણો અને અસરો અંગે જાણકારી મેળવવી. ભારે અને મોટી વસ્તો ભોયતળીયે અથવા નીચામાં નીચી છાજલીએ રાખવી. સુવાની જગ્યાના ઉપરના ભાગે ફોટો ફ્રેમ, દર્પણ કે કાચ લગાવવા નહી. ક્ષતિવાળી વિજળીના કનેકશન તથા લિકેજ ગેસ કનેકશન તુરતજ રીપેર કરાવી લેવા. અઠવાડીયા પુરતુ આકસ્મિક જરૂર પુરતા ખોરાક, પાણી, દવાઓ અને પ્રાથમિક સારવારની સામગ્રી તૈયાર રાખો, જે લઇને નીકળી જઇ શકાય. સંપતિના વીમો તેમજ કુટુંબના જીવન વીમા ઉતરાવા અને વીમાના કાગળો સુરક્ષિત સ્થળે રાખો. અગત્યના દસ્તાવેજો પાણીથી બગડે નહી તેવી કોથળીમાં રાખો. તેની નકલો કરાવી અન્ય સ્થળે પણ રાખો. નજીકના આરોગ્ય કેન્દ્ર, અગ્નિશમન કેન્દ્ર, પોલીસ ચોકી વગેરેની માહિતીએ તથા જાણકારી રાખવી. કુટુંબમાંથી ઓછામાં ઓછુ એક વ્યકિતએ પ્રાથમિક સારવારની તાલીમ મેળવવી.

ભુકંપ દરમ્યાન લેવાના થતાં પગલાંઓ : ગભરાશો નહી, સ્વસ્થ રહો અને અન્યને સ્વસ્થ રહેવા પ્રેરો. ગભરાહટમાં ખોટી દોડાદોડી કરવી નહી. ઘરમાંથી ખુલ્લી જગ્યામાં દોડી જવું. બહુમાળીમાં હોવ તો લીફટનો ઉપયોગ કરવો નહી. જો વાહન હંકારતા હોવ તો તુરતજ સુરક્ષિત જગ્યાએ રોડની સાઇડમાં વાહન રોકી વાહનમાં જ બેસી રહો.જયારે મકાનની અંદર હોય ત્યારે સુરક્ષા માટે તમારા બંને હાથથી માથુ છુપાવી લઇ મકાનમાં કોઇપણ સુરક્ષિત ભાગમાં આશ્રય મેળવો. બારણાની ફ્રેમ નીચે, મજબુત ટેબલ નીચે કે મહબુત દિવાલ પાસે માથુ સાચવી બેસી રહેવુ.

ભુકંપ બાદ લેવાના થતાં પગલાંઓ : અફવા ફેલાવશો નહી, અફવા સાંભળશો નહી, ચિત સ્વસ્થ રાખો. ભુકંપ પછીના સામાન્ય આંચકાઓથી ગભરાવું નહી. માણસો દટાયેલા હોય બચાવ ટુકડીને જાણ કરો. શું બન્યુ છે તે જોવા શેરીઓમાં આંટા ફેરા ન કરો, બચાવ વાહનોને પસાર થવા માર્ગ ખુલ્લો રાખો. ઘરને ખૂબજ નુકશાન થયુ હોય તો તેને છોડી દો. પાણી, ખોરાક તથા અગત્યની દવાઓ લઇ નીકળી જાઓ. પાણી, વિજળી અને ગેસ બંધ કરી દો, બંધ હોય તો ખોલશો નહી. રસોડામાં ગેસની વાસ આવે તો કોઇપણ સ્વીચ દબાવવી નહી અને કશું જ સળગાવવુ નહી. ધુમ્રપાન ન કરો, દિવાસળી ન સળગાવો, ગેસ લિકેજ કે શોર્ટસર્કિટ હોય શકે છે. ટોર્ચનો ઉપયોગ કરો. આગ લાગે તો બુઝાવવા પ્રયાસ કરો, અગ્નિશામક તંત્રની મદદ લો.

ભુકંપ પહેલા, દરમ્યાન અને પછી લેવાના થવાતા ઉપરોકત પગલાંઓ અંગે લોકોએ જાગૃત રહેવા અધિક નિવાસી કલેકટરશ્રીની યાદીમાં જણાવાયુ છે.(૨૧.૪)

(10:08 am IST)