સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના મત‌ વિસ્તાર અમરેલી જિલ્લાના રામપુરમાં ભર ઉનાળે પાણીના ધાંધીયાઃ નર્મદાના પાણીનું છથી આઠ દિવસે વિતરણ

અમરેલીઃ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના મત વિસ્‍તાર અમરેલી જિલ્લાના રામપુર  ગામમાં પાણીની તંગીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

અમરેલી જિલ્લાના કુંકાવાવથી 12 કિલોમીટર દૂર આવેલું રામપુર ગામ. વિપક્ષના નેતા પરેશ ધાનાણીના મતવિસ્તારમાં આવે છે. ગામમાં ઉનાળાના આરંભે પાણીના પોકાર ઉઠવા શરૂ થયા છે. અંદાજે પચ્ચીસોથી ત્રણ હજારની વસ્તી ધરાવતા રામપર ગામમાં નર્મદાનું પીવાનું પાણી થી આઠ દિવસે આવે છે. અને તે પણ જરૂરિયાતના 33 ટકા . આથી ગામની મહિલાઓએ માથે બેડા મૂકી દૂર-દૂર સુધી પાણી ભરવા જવું પડે છે.

ગામના ભાગોળે માત્ર બે બોર આવેલા છે. તેમાં પણ મોળું અને ખારું પાણી આવે છે. એટલે તેનો ઉપયોગ ઘર વપરાશમાં થાય છે. અહીંની ગ્રામ પંચાયત લોકો પાસેથી 200 થી 500 રૂપિયા ઉઘરાવી પાણીના ટાંકા મંગાવે છે. તે પણ બહારના ગામમાંથી પાણી લાવવામાં આવે છે. જેથી ઢોર અને મનુષ્યોને પણ પીવાના પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અંગે અમરેલી કાર્યપાલકને તથા અમરેલીના અનેક નેતાઓને રજૂઆત કરવા છતાં હજુ ઉકેલ આવ્યો નથી.

રામપુરના રહેણાક વિસ્તારમાં મોટી ટાંકી આવેલી છે. ટાંકામાં પાણી તો નથી પરંતુ ટાંકીના પોપડા પડવાને કારણે ઘણીવાર પશુઓના મૃત્યુ પણ થઇ ચુક્યા છે. એટલે ગામના લોકોએ ટાંકી પાડવા માટે તંત્રમાં અનેકવાર રજૂઆત કરી છે. પણ કોઈ ઉકેલ આવ્યો નથી. જર્જરીત ટાંકીને કારણે લોકો સતત ભયમાં જીવે છે. ત્યારે ગ્રામજનોની માંગ છે કે તેમના ધારાસભ્ય પરેશ ધાનાણી મુદ્દો ગૃહમાં ઉછાળે જેથી તેમની સમસ્યા ઉકેલાય.

(6:26 pm IST)