ભાવનગરમાં એક જ યુવતિના પ્રેમીએ બીજા પ્રેમીને પતાવી દીધો!
પ્રેમ સબંધ રાખવા બાબતે થયેલો ઝઘડોઃ 'એક ફુલ દો માલી' જેવી ઘટનાથી ચકચારઃ બન્ને યુવકો ઝઘડયા બાદ સંજય મેરની હત્યા
ભાવનગર તા. ૧ર :.. ભાવનગરમાં એક જ યુવતી સાથે પ્રેમ સંબંધો રાખનારા બે યુવાનો વચ્ચે ઝઘડો થતાં એક યુવાનનું ખુન થયાનો બનાવ બનવા પામ્યો છે.
આ હત્યાનાં બનાવની પોલીસ સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ શહેરનાં બોરતળાવ વિસ્તારમાં રામજી મંદિર પાસે પ્લોટ નં. ૪૧-એ માં રહેતા સંજય ધનજીભાઇ મેર ઉ.ર૭ ઉપર શહેરનાં જવેલર્સ સર્કલ નજીક ઇસ્કોન કલબ રોડ ઉપર બે શખ્સો તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી જીવલેણ હૂમલો કરી હત્યા કરી નાસી છૂટયા હતાં.
બનાવની જાણ થતાં જ ડી. ડીવીઝન પોલીસ, એલ. સી. બી. પોલીસ, એફ.એલ. એસ. ની ટીમ સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગે મૃતક સંજયનાં ભાઇ ધર્મેન્દ્ર ધનજીભાઇ મેર એ ડી. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મેહુલ ઉર્ફે કાનો સોડાભાઇ બાબરીયા અને મેહુલનાં મિત્ર વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી જણાવ્યુ હતું કે મૃતક તેનાં ભાઇ સંજય ને અને આરોપી મેહુલ ને ફુલસર વિસ્તારમાં રહેતી શીતલ નામની યુવતી સાથે પ્રેમસંબંધો હતાં. આ બાબતે બન્ને વચ્ચે અવાર-નવાર ઝઘડો થયો હતો અને ગઇ મોડી રાત્રે મેહુલ અને તેના મિત્ર એ સંજય ઉપર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઢીમ ઢાળી દીધુ હતું. આ અંગે ડી ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.