જેતપુરની તરૂણી ઉપર દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની સજા તેમજ રૂ. ર૬ હજારનો દંડ ફટકારતી કોર્ટ
બે આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકાયા
જેતપુર તા. ૧ર :.. શહેરની સગીરાને ધાક-ધમકી આપી બે વખત દુષ્કર્મ ગુજારનાર અજય ગોહીલના દશ વર્ષની સખ્ત કેદની સજા તેમજ તેને મદદગારી કરનાર અન્ય બે શખ્સોને શંકાનો લાભ આપી કોર્ટે નિર્દોષ છોડી મુકેલ.
શહેરની સગીરા કે જે ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી હતી તે પરીક્ષા આપી પરત તેના ઘેર જતી હતી ત્યારે તેનો પીછો કરતા શખ્સ અજય દિલીપસિંહ ગોહીલ (રહે. નાભવાળીયા), અજંટા ડાઇંગ સામે) પોતાનું બાઇક લઇ સગીરાને કહેલ કે પાછળ બેસીજા ફરવા જવુ છે. સગીરાએ ના કહેતા તેના ધાક ધમકીથી પાછળ બેસાડી ચારણ સમઢીયાળા ખાતે રહેતા તેના મામા વજેસીંગભાઇ જીવુભા પરમારના ઘેર લઇ જઇ સગીરા ઉપર દુષ્કર્મ ગુજારેલ બાદમાં તેણીને પરત તેના ઘેર મુકી ગયેલ થોડા સમય બાદ કરી વખત અજય ગોહીલ સગીરાના ઘેર થયેલ ત્યારે તે એકલી હોય તેનો મીત્ર સંજય પુના વાગડીયા (રહે. જુના પાંચપીયળા રોડ ભદ્રાવતી સોસાયટી) ને ઘર પાસે ધ્યાન રાખવા ઉભો રાખી ફરી વખત દુષ્કર્મ ગુજારેલ.
સગીરા ગર્ભવતી થયાનું માલુમ પડતા આ અંગેની ફરીયાદ શહેર પોલીસમાં ર૦૧૬ માં નોંધાવેલ જેથી શહેર પોલીસે ત્રણે શખ્સો વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી કરેલ.
આ કેસ ગઇકાલે પોકસોની સ્પે. કોર્ટમાં ચાલી જતા સરકાર પક્ષે વિદ્વાન વકીલ એડી. પી. પી. કે. એ. પંડયાએ ધારદાર દલીલ કરેલ અને આવુ કૃત્ય કરનારને સખ્ત સજા થાય તેવી રજુઆત કરતા જજ સાહેબશ્રી જે. એ. ઠક્કરે તમામ મુદાઓએ આધાર પુરાવાઓના આધારે દુષ્કર્મ ગુજારનાર અજય દિલીપસિંહ ગોહીલને દશ વર્ષની જેલની સજા અને રૂ. ર૬૦૦૦ નો રોકડનો દંડ ફટકારેલ જયારે અન્ય બે શખ્સોએ શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે.