દુષ્કર્મની ઘટનામાં ડે ટુ ડે સ્પેશ્યલ કોર્ટમાં કેસ ચલાવવા-સરકારી વકિલ નીમવા ધ્રોલ-જોડિયા ભરવાડ સમાજની માંગ
ધ્રોલ તા. ૧રઃ સમસ્ત ભરવાડ તેમજ સર્વે સમાજ ધ્રોલ-જોડિયા દ્વારા આજે આવેદનપત્ર પાઠવીને ગયા વર્ષે ભરવાડ સમાજની દિકરી સાથે થયેલ દુષ્કર્મ કેસના આરોપીઓ વિરૂધ્ધ સેસન્સ કેસ નં. પ૭/ર૦ર૦ ને ડે ટુ ડે સ્પેશ્યલ કોર્ટ તેમજ સ્પેશ્યલ સરકારી વકિલ નિમવા આવેદન પત્ર પાઠવીને રજુઆત કરી છે.
આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે, આરોપી વિરૂધ્ધ અંદાજીત ર૭ થી ર૮ ગુનાઓ હોય જે ધ્યાને લઇ તેના વિરૂધ્ધ ગુનાની જોગવાઇ મુજબ સખ્તમાં સખ્ત સજા કરવા આરોપીઓ વિરૂધ્ધ જે કોર્ટમાં કેસ ચાલે છે તે કેસ સ્પેશ્યલ કોર્ટમાં ચલાવી તેમજ તે કેસ માટે સરકાર દ્વારા સ્પેશ્યલ સરકારી વકીલની નિમણુંક કરવી, આરોપીઓ દ્વારા અમોને જાણવા મળેલ કે આરોપીઓએ તેમજ આરોપીઓની સાથે અન્ય તેના મળતીયાઓએ ભુતકાળમાં જુદા જુદા સમાજની ઘણી બહેન દીકરીઓને એકલતાનો લાભ લઇ તેમની સાથે દુષ્કર્મ આચરેલ છે. તેથી આરોપીને સખ્ત સજા આપી સમાજમાં દાખલો બેસાડી સ્ત્રીઓને સન્માન તથા રક્ષણ મળી રહે તે હેતુથી કેસને ઝડપી ચલાવવા તેમજ કાયદાની જોગવાઇ મુ઼જબ કડકમાં કડક સજા કરવી.
આરોપીઓ દ્વારા કરવામાં આવતી જામીન અરજીઓ રદ કરવામાં આવે તેમજ આરોપી દ્વારા ભુતકાળમાં જે ગુનાઓ આચરેલ છે. તે ગુનાઓમાં જામીન મુકત હોય તે તમામ ગુનાઓના જામીન રદ કરવામાં આવે. આરોપીની કોર્ટ મુદત દરમ્યાન તેના મળતીયાઓ દ્વારા પંચ પુરાવાઓને ડરાવવા, ધમકાવવા માટે ટોળા વળીને આવતા હોય તેથી કોર્ટ મુદતે ખોટો અશાન્તીનો માહોલ ઉભો ન થાય તેથી તેના મળતનીયાઓની યોગ્ય પોલીસ તપાસ કરવા માંગ કરી છે.
તમામ મુદાઓને ધ્યાનમાં લઇ યોગ્ય કાર્યવાહી કરવામાં નહિં આવે તો ભરવાડ સમાજ દ્વારા ભવિષ્યમાં ઉપર લેવલે સખ્ત રજુઆત કરવામાં આવશે. તેવી ચિમકી ઉચ્ચારાઇ છે.