કેશોદની બીચ્છુ ગેંગનો શહેબાઝ મહીડા પાસા હેઠળ જેલહવાલે
સુરતની લાજપોર જેલમાં મોકલી દેવાયો
જુનાગઢ, તા. ૧ર : કેશોદ શહેરમાં વેપારીઓ વગેરે લોકો સાથે બીચ્છુ ગેંગનો માથાભારે શખ્સ શહેબાઝ ગફાર મહીડા સહિતના શખ્સોએ આતંક મચાવ્યો હતો.
શહેબાઝ ગફાર વિરૂદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં વિવિધ ૧ર જેટલા ગુના નોંધાયા હતાં.
આ માથાભારે શખ્સ વિરૂદ્ધ ડી.આઇ.જી. મનીન્દર પ્રતાપસિંઘ પવાર અને એસપી સૌરભસિંઘની સુચનાથી કેશોદના ડીવાયએસપી જે.બી. ગઢવીના માર્ગદર્શન હેઠળ કેશોદના પીઆઇ ડી.જે. ઝાલાએ દરખાસ્ત તૈયાર કરી કલેકટર ડો. સૌરભ પારધી સમક્ષ મોકલી આપી હતી.
આ દરખાસ્તના આધાર જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. સૌરભ પારધીએ શહેબાઝ મહીડા વિરૂદ્ધ પાસાનું વોરન્ટ ઇસ્યુ કર્યું હતું.
પાસા વોરન્ટના પગલે કેશોદના પીએસઆઇ એમ.જી. બાલસ વગેરેએ ગત રાત્રે જ શહેબાઝની અટકાયત કરી તેને સુરતની લાજપોર જેલમાં આજે સવારે ધકેલી દીધો હતો.
આમ માથાભારે શખ્સને જેલ હવાલે કરાતા અન્ય તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.