સુરેન્દ્રનગરમાં ૨૧ દુકાનો અને એક હોલ સીલઃ ૧૦ લાખ વેરો બાકી હતો
વઢવાણ તા.૧૨: પાલિકાના ચીફ ઓફીસર સંજયભાઈ પંડયાની સુચનાથી હાઉસ ઈન્સપેક્ટર વિજયસિંહ ગોહિલ તથા વ્યવસાય વેરા અધિકારી અને હાઉસટેક્ષ રીકવરી અધિકારી છત્રપાલસિંહ ઝાલા, પ્રવિણસિંહ પરમાર સહિતની ટીમે શહેરની મધ્યમાં આવેલ વિઠ્ઠલપ્રેસ તેમજ એકતા શોપીંગ સેન્ટરમાં ચેકીંગ હાથધર્યું હતું અને છેલ્લા પાંચપ્રઆઠ વર્ષથી મિલ્કત વેરો બાકી હોય તેવી ૨૧ દુકાનો અને એક હોલને સીલ કરવામાં આવ્યો હતો જ્યારે બાકીના કરદાતાઓએ આગામી બે દિવસમાં વેરો ભરવાની ખાત્રી આપી હતી.
ચીફ ઓફીસરે જણાવ્યું હતું કે આ ઝુંબેશ આગામી તા.૩૧ માર્ચ સુધી ચાલુ રાખવામાં આવશે અને જે કરદાતાઓનો છેલ્લા બે વર્ષથી વધુ સમયથી વેરો બાકી હશે તેમને ત્યાં જઈ સ્થળ પર ઢોલ વગાડી જાણ કરવામાં આવશે અને તેમ છતાંય ટેક્ષ ભરપાઈ કરવામાં ઠાગાઠૈયા કરશે તો મિલ્કત સીલ કરવામાં આવશે. કોઈપણ જાતની સેહશરમ કે લાગવગ વગર વેરાની કડક વસુલાત કરવામાં આવશે જ્યારે સીલ મારેલ ૨૧ જેટલી મિલ્કતોનો અંદાજે ૧૦ લાખનો વેરો બાકી હતો તેમજ પાલિકા તંત્ર દ્વારા મિલ્કતોને સીલ મારવામાં આવતાં અન્ય કરદાતાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.