સાસણ ગીરમાં સિંહના મોતથી વન્યપ્રેમીઓમાં આઘાતનું મોજુ
હોસ્પિટલમાં સારવાર વેળા મોત નિપજ્યું : રાજપરા રાઉન્ડમાંથી ગંભીર હાલતમાં રેસ્ક્યુ કરાયો હતો
અમદાવાદ,તા. ૧૧ : જૂનાગઢના સાસણ ગીરની સિંહ હોસ્પિટલમાં એક સિંહનું સારવાર દરમ્યાન મોત નીપજ્વાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી.ખાસ કરીને, સિંહના મોતને લઇ સિંહ અને વન્ય પ્રેમીઓમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. આ સિંહને ત્રણ વર્ષ પહેલા ગીર પશ્ચિમ વિસાવદર રેન્જના રાજપરા રાઉન્ડમાંથી ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં રેસ્ક્યુ કરી લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી સાસણ ગીર રેસ્ક્યુ સેન્ટરમાં સારવાર હેઠળ હતો.
સ્થાનિક નિષ્ણાત તબીબો દ્વારા તેની સતત નીગરાની પણ રાખવામાં આવતી હતી અને જરૂરી સારવાર પણ કરવામાં આવતી હતી પરંતુ અવસ્થાના કારણે તેને જંગલમાં છોડવામાં આવ્યો નહોતો. દરમ્યાન સિંહનું મૃત્યુ નીપજતાં પંથકમાં ભારે ચર્ચા જાગી હતી. પરંતુ બીજીબાજુ, સિંહ અને વન્ય પ્રેમીઓમાં સિંહના મોતના સમાચાર જાણીને શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. બીજીબાજુ, વિસાવદર તાલુકાના રવની કુબા વિસ્તારમાંથી પાંજરે દીપડો પૂરાયો છે. તેને સાસણ ખસેડાયો છે. આ વિસ્તારમાં છેલ્લા છોડા દિવસોમાં કુલ ૮ દીપડા પાંજરે પૂરાયા છે. પાંજરે પૂરાયેલા માનવભક્ષી દીપડા છે કે કેમ તે અંગે વન વિભાગે તપાસ હાથ ધરી છે.