સુરેન્દ્રનગરમાં પતરાવાળીથી મલ્હાર ચોકનો બિસ્માર રસ્તા પ્રશ્ને વેપારીઓનો હલ્લાબોલ નગરપાલિકા કચેરીએ ઘસી જઇ ૪ દિવસનું અલ્ટીમેટર આપ્યું નહિ તો આંદોલન
વઢવાણઃ સુરેન્દ્રનગર શહેરના પતરાવાળી ચોકથી મલ્હાર ચોક તરફના બિસ્માર રસ્તાથી ત્રસ્ત વેપારીઓએ પાલિકા કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો. અગાઉ પાલિકા તંત્ર દ્વારા ૭ દિવસમાં રસ્તાની કામગીરી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ કોઇ કાર્યવાહી શરૂ ન કરાતા વેપારીઓએ ૪ દિવસમાં રસ્તો બનાવવાનું આખરી અલ્ટીમેટમ આપ્યું છે. તેમ છતાં સુધરાઇ દ્વારા રોડની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો વેપારીઓએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી. સુરેન્દ્રનગર શહેરમાં જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટર અને પાણીની લાઇન માટે ઠેર ઠેર ખોદકામ કરવામાં આવ્યું હતું. જેના કારણે અનેક રસ્તાઓ બિસ્માર બની ગયા છે ત્યારે પતરાવાળી ચોકથી મલ્હાર ચોક તરફ જતા રસ્તા પર પાણીની લાઇન નાંખ્યા બાદ નવો રસ્તો બનાવવામાં ન આવતા વેપારીઓ પરેશાન બની ગયાં છે. સતત ઉડતી ધુળથી ત્રસ્ત બનેલા વેપારીઓએ બુધવારે પાલિકા કચેરીમાં હલ્લાબોલ કરી તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી. વેપારીઓએ રજૂઆત કરતા જણાવ્યું કે રસ્તા પર ઉડતી ધુળથી દુકાનોમાં બેસી પણ શકાતું નથી અને ગ્રાહકો પણ કોઇ આવતા નથી. તેમજ સતત ઉડતી ધુળથી ગંભીર બિમારી થવાનો પણ ભય રહે છે. ત્યારે ૪ દિવસમાં પાલિકા દ્વારા કોઇ નક્કર પગલા લેવામાં નહીં આવે તો નાછુટકે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. આ અંગે પાલિકાના એન્જીનીયર કે.જી.હેરમાએ જણાવ્યું કે જીયુડીસી દ્વારા હજુ સુધી કામ પુર્ણ થવા બાબતે એનઓસી આપવામાં આવી ન હોવા થી હજુ રોડ નું કામ શરૂ નથી થયું.(૨૩.૩)