સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th October 2018

સુરેન્દ્રનગરના પરપ્રાંતિયોને જિલ્લો ન છોડવા અને કામ ચાલુ રાખવા કલેકટરની અપીલ

સુરેન્દ્રનગર, તા.૧૨: ગુજરાતની પ્રવર્તમાન પરિસ્થિતિના અનુસંધાને સુરેન્દ્રનગર ખાતે પરપ્રાંતીયોની સુરક્ષા અને સલામતી સંદર્ભે કલેકટર શ્રી કે. રાજેશના અધ્યક્ષસ્થાને પરપ્રાંતીયો સાથે બેઠક યોજવામાં આવી હતી.

પરપ્રાંતીયો સાથે યોજાયેલી આ બેઠકમાં કલેકટરશ્રી કે.રાજેશે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં પરપ્રાંતીયો બાબતે કોઈ પ્રશ્ન ઉદ્દભવેલ નથી. તેમણે વધુમાં જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પ્રુરતી તકેદારી રાખવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

આ તકે પોલીસ અધિક્ષકશ્રી મનીન્દરસિંહ પવારે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં પરપ્રાંતિયો સંદર્ભે કોઈ વિપરીત પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે કાયદો-વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવેલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કડક કાયદો-વ્યવસ્થાને કારણે શાંતિ રહેલ છે. તેમણે વધુમાં સોશ્યલ મીડીયામાં ખોટી અફવાઓ અને ખોટા મેસેજ વાયરલ થતા હોઈ લોકો ગભરાઈ પોતાના વતન જવા નીકળી જતા હોય છે. તેવી પરિસ્થિતિમાં કોઈએ ગભરાવવાની જરૂર નથી. આવા કોઈપણ ખોટા મેસેજ આવે તો તાત્કાલિક પોલીસતંત્રને જાણ કરવા જણાવ્યું હતું. પોલીસતંત્ર આવા મુઠ્ઠીભર ખોટા મેસેજ ફેલાવનાર સામે સખ્ત કાર્યવાહી કરશે. તેમણે ભારતમાં અનેકતામાં એકતા સમાયેલ હોવાનું જણાવી અમુક વિધ્ન સંતોષી થોડા ઘણા લોકો આવી ખોટી અફવાઓ ફેલાવી પરિસ્થિતિ ડહોળવા પ્રયાસો કરતા હોય છે. જેથી આવી ખોટી અફવાઓ ફેલાવનારની ત્વરિત પોલીસતંત્રને જાણ કરવી જેથી તાત્કાલિક પગલા લઈ શકાય. તેમણે પરપ્રાંતીયોના ધંધા રોજગાર તેમજ રહેણાંક વિસ્તારમાં પરિસ્થિતિ વણસે નહીં. તે માટે પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવેલ છે. જેથી કોઈએ ગભરાવવાની જરૂર નથી. આમ જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ પરપ્રાંતીઓને સલામતી અને રક્ષણ આપવાની ખાતરી આપી હતી.

નગરપાલિકા પ્રમુખશ્રી વિપીનભાઈ ટોલીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી માધવીબેન શાહ તેમજ ઉપ્રમુખશ્રી પુલીનભાઈ ત્રિવેદીએ જિલ્લામાં ધંધો રોજગાર અર્થે આવેલ પરપ્રાંતીયોએ કોઈપણ પ્રકારનો મનમાં ડર રાખ્યા વગર શાંતીથી પોતાનો વ્યવસાય કરવા જણાવ્યું હતું.

આ પ્રસંગે શ્રી ગોરધનભાઈ વરમોરા સહિત વિશાળ સંખ્યામાં પરપ્રાંતીયો ઉપસ્થિત રહયા હતા.(૨૩.૪)

(12:06 pm IST)