સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th October 2018

તરઘડીયાના પટેલ વૃધ્ધા હંસાબેન વસોયાએ આજીડેમમાં પડતું મુકવાનો પ્રયાસ કર્યો

કાંઠા પર લપસી પડતાં ઇજાઃ મગજની બિમારીને કારણે પગલુ ભર્યુ

રાજકોટ તા. ૧૨: કુવાડવાના તરખઘડીયા ગામે રહેતાં હંસાબેન મકનભાઇ વસોયા (ઉ.૬૦) નામના લેઉવા પટેલ વૃધ્ધા ગઇકાલે સવારે દવા લેવા જવાનું કહી ગામડેથી નીકળી ગાય બાદ આજીડેમે પહોંચી પાણીમાં પડતું મુકવા જતાં કાંઠા પર પડી જતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

બનાવની જાણ થતાં હંસાબેનના પુત્ર, પતિ, જમાઇ સહિતના પરિવારજનો હોસ્પિટલે પહોંચ્યા હતાં. હંસાબેનને સંતાનમાં એક પુત્ર રસિકભાઇ અને ત્રણ પુત્રી છે. પુત્ર રસિકભાઇને રાજકોટમાં મોરબી રોડ પર શિવમ્ પાર્કમાં મકાન છે. માતા-પિતા તેની સાથે જ રહે છે. પણ હાલમાં થોડા દિવસથી બધા તરઘડીયા રહેવા ગયા હતાં. રસિકભાઇના કહેવા મુજબ માતા હંસાબેનને મગજની બિમારી હોઇ ઘરેથી નીકળી જઇ ડેમમાં પડતું મુકવા પ્રયાસ કર્યો હતો. ત્યારે કાંઠા પર લપસી જતાં ઇજા થઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(12:01 pm IST)