સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th September 2019

મોરબીના વેપારીને પાન ખાવાનુ ૨.૬૦ લાખમાં પડ્યુ! બે શખ્સો કારમાંથી રોકડ લઇ છનન...

શહેરમાં નાકાબંધી કરાઇ પણ કોઇ સગડ ન મળ્યાઃ સીસીટીવી ફુટેજના આધારે તપાસ

મોરબી તા. ૧૨: મોરબીના વેપારી પાન ખાવા દુકાને ઉભા હતા ત્યારે દુકાન પાસે પાર્ક કરેલી કારના કાચ તોડી બે શખ્સો ૨.૬૦ લાખની રોકડ સાથેનો થેલો લઇ છનન થઇ ગયા હતા.

મળતી માહિતી મુજબ મોરબીના કેનાલ રોડ પર આવેલા મયુર પાર્ક સોસાયટીમાં રહેતા ભૂમિત જગજીવનભાઈ રૈયાણી નામનો વેપારી યુવાન તેની જી.જે ૩ એફ કે ૬૦૦૦ નંબરની કાર લઈ ઉમિયા સર્કલ પાસે આવેલ કૈલાશ પાન નામની દુકાને ગયા હતા  તે દરમિયાન બાઇકમાં આવેલા બે શખ્સ તેની કારનૉ પીછો કરતા ત્યાં આવી અને કારની પાછલી સીટનાં દરવાજા નૉ કાચ તોડી નાખ્યો હતો અને તેમાં રહેલા ૨.૬૦ લાખ રૂપિયા ભરેલ થેલો લઈને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના પી.આઇ આર.જે ચૌધરી અને સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. પોલીસે શહેરના તમામ આવવા જવાના રસ્તા પર નાકા બંધી લગાવી દીધી હતી. અને આસપાસના સીસીટીવી કેમેરા આધારે આરોપીઓની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી. બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકે વેપારી યુવકની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.પણ આ ઘટના  બનતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો .

(1:17 pm IST)