સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th September 2019

ખંભાળીયાથી વધુ બાજુના વાડી વિસ્તારમાં ૧૧ ઇંચ વરસાદ

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઘી, વર્તુ-૧, સોનમતી, મીણસાર વેરાડી-૧, કબરકા, સિંહણ, મહાદેવીયા, કંડોરણા સહિતના ડેમો ઓવરફલો

ખંભાળીયા તા. ૧ર :.. ખંભાળીયામાં બપોરે એક સામટો બે કલાકમાં મુશળધાર રીતે છ ઇંચથી પણ વધુ વરસાદ પડતા ઠેર ઠેર પાણી...પાણીની સ્થિતિ થઇ ગઇ હતી. ખંભાળીયાના નગર ગેઇટ ચોક જે વરસાદના પાણી માટે જાણીતું છે તથા અહીં ત્રણ બાજુથી પાણી છલકાઇ ને આવતુ હોય ફુટ દોઢ ફુટ જેટલું પાણી ભરાતા બાઇક સવારે નીકળે તેની બાઇક બંધ થઇ જાય તથા કાર પણ બંધ થઇ જાય તેવી સ્થિતી થઇ હતી.

રામનાથ સોસાયટીમાં પોટ ગેઇટમાં જોરદાર વરસાદથી પાણીના નિકાલના પાઇપો જામ થઇ જતાં રસ્તા પર બે - બે ફુટ પાણી ભરાયા હતાં.

એક જ દિવસમાં આઠ ઇંચ વરસાદ પડતા બન્ને નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ થઇ ગઇ હતી તથા બન્ને કાંઠે વહેતી નદીઓ જોવા માટે લોકો ઉમટી પડયા હતા તથા ચાલુ વરસાદે મોજ માણવા નીકળ્યા હતાં.

ગઢની રાંગની અંદરના વિસ્તારોમાં થોડો ઓછો પાણીનો માર હતો જયારે સલાયાનાકા, સ્ટેશન રોડ, તિરૂપતી સોસાયટી, યોગેશ્વરનગર, રામનાથ સોસાયટી, ગાયત્રીનગર, મહાદેવ વાડો, મહાપ્રભુજી બેઠક, શ્રીજીપાર્ક, નારાયણનગર, રામનાથ સોસાયટી-ર, લીટલ સ્ટાર શાળા પાસે મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાયા હતાં.

શહેર તથા તાલુકાના ર૪ ગામડાઓને પાણી પુરૂ પાડતો ઘી ડેમ કે જે ૩૧ ઇંચ વરસાદ પડયા પછી પણ ડેડવોટરની સ્થિતીમાં હોવાનો રાજયનો રેકોર્ડ થયો હતો તેમાં બે દિવસમાં સપાટી આઠ ફુટ પહોંચી છે. આઠ ફુટ જીવંત જથ્થો અને ૪ ફુટ ડેડવોટર મળીને ખંભાળીયાને એક વર્ષ ચાલે તેટલું પાણી આવી જતાં ખંભાળીયાની પ્રજાને નિરાંત થઇ છે.

શહેરમાં આઠ ઇંચ વરસાદ પડયો જયારે ખંભાળીયા શહેરની નજીકના હર્ષદપુર, હામીવાડી, નવીવાડી, હાપી સામોટવાડી, રામનગર, ધરમપુર, શકિતનગર, શીરૂવાડી વિ. વિસ્તારોમાં ૯ થી ૧૧ ઇંચ જેટલું પાણી પડતા અનેક જગ્યાએ કલાકો સુધી લોકો વાહનો સાથે ફસાઇ ગયા હતા તો આજે પણ અનેક વાડી વિસ્તારોમાં જવા આવવાના રસ્તા પર ઝરણા જેમ પાણી વહેતા થઇ ગયા છે. જણાવેલ કે ભારે ગરમીને કારણે આકર્ષતાની સ્થિતિ થતાં વેબસાઇટ તથા હવામાન ખાતાને પણ આવો અંદાજના હતો કે આવો વરસાદ પડશે જો કે તાલુકાના ગામડામાં એક બે ઇંચજ પડ્યો છે. ખંભાળિયાથી ર કિમી દુર  ઘી ડેમ પર પણ માત્ર ચાર ઇંચજ વરસાદ ૨૪ કલાકમાં નોંધાયો છે જયારે ખંભાળિયામાં ૮ ઇંચ પડયો.

ખંભાળિયામાં એકજ દિવસમાં આઠ ઇંચ વરસાદના પગલે ખંભાળિયા શહેરના તમામ મેઇન રસ્તાઓ પર ખાડા પડી ગયા હતા તથા નબળા કામના રોડ ધોવાઇ ગયા હતા.

પાલિકાનો બગીચો કે જે જુના સમયમાં તળાવને પુટીને બનાવેલો તે બગીચો ગઇકાલે આઠ ઇંચ વરસાદથી ફુટ  પાળ તરાતા બગીચો તળાવમાં ફેલાઇ ગયો હોય તેવી સ્થિતિ થઇ હતી.

જિલ્લા કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાએ સમગ્ર તંત્રને એલર્ટ કરી દીધું હતું તથા જરૂર પડયે પ્રશ્ન ઉભો થાય તો એન.ડી.આર.એફ.ની ટુકડીને બોલાવવા વ્યવસ્થા પણ કરી હતી.

મામલતદાર કથીરીયા તથા ડે. કલેકટર માંગુડીયા તથા ખંભાળિયા પાલિકા ચીફ ઓફિસર ગઢવી તથા તા.પ. અને ફાયર બ્રીગેડનો સ્ટાફ પણ તૈયાર રખાયો હતો.

પોરબંદર રોડ પર બે દિવસ વરસાદને કારણે ખંભાળિયા તાલુકાના વિંઝલપુરથી આગળ જતાં મોટાપૂલ પટ ધોવાણ થઇજતાં પૂલમાં ખાડા પડતા નીચેનું લોખંડ તથા સળિયાઓ બહાર નીકળી જતાં રસ્તા પર વાહન ચાલકો અથડાય તો પડે અને અકસ્માત થાય તેવી સ્થિતિ થઇ હતી.

કેશોદ ગામના અગ્રણી મોહનભાઇ તથા મૂકેશભાઇ મોકરીયાના ધ્યાને આવતા તેમણે ગ્રામજનોની મદદથી આ સળિયા આગળ પથ્થરની આડશ ગોઠવી ધ્યાન પડે તેવું કર્યુ હતું. બાદમાં પી.ડબલ્યુ.ડી. તંત્રને જાણ કરાતા તંત્રએ ચાલુ વરસાદે આ ખાડા મરામત કયાં હતા તથા વરસાદ રહે ત્યારે ખાડાનું પેચવર્ક કરીને લોખંડના સળિયા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

ભારે વરસાદના કારણે ધી, વર્તુ-૧, સોનમતી, મીણાસાર, વેરાડી-૧, કબરકા, સિંહણ, મહાદેવીયા, કંડોરણા સહિતના ડેમો ભરાઇ ગયા છે જયારે વર્તુ-૨, શેઢા ભાડથરીમા ૭૦ ટકા પાણીની આવક થઇ છે.

(1:13 pm IST)