હવે હાંઉ કરો મેઘરાજાઃ વરાપ ઝંખતા ખેડૂતો
વાવણી બાદ હળવો-ભારે વરસાદ સતત પડી રહ્યો હોવાથી પાકની માવજતમાં અડચણ
રાજકોટ તા.૧૨: છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા સર્વત્ર મેઘમહેર યથાવત રહેતા પાણી-પાણી થઇ ગયુ છે ત્યારે હવે મેઘરાજા ''હાઉ'' કરેે તેવી લાગણી લોકો વ્યકત કરી રહ્યા છે.
વાવણી બાદ સતત હળવો-ભારે વરસાદ વરસતો રહેતો હોવાથી પાકની માવજતમા અડચણ થઇ રહી છે જેના કારણે ખેડૂતો વરાપ ઝંખી રહ્યા છે.
આ વખતે ચોમાસામા ભરપૂર વરસાદ આવતા નદી, નાળા, ડેમ, ચેકડેમ, તળાવો ભરાઇ ગયા છે અને પાણી પ્રશ્ન હલ થઇ ગયો છે ગુજરાતમાં ૧૦૦ ટકા ઉપર વરસાદ વરસી ગયો છે.
ધોરાજી
ધોરાજીમાં રાત્રિના ૧૧ વાગ્યા બાદ ભારે વરસાદ શરૂ થતા સાંજ સુધીમાં ૨.૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ધોરાજીમાં લોકો હવે જેમ વરસાદ લાંબો સમય ખેંચાતા મેઘરાજાને મનાવવા પ્રાર્થના થતી હતી તેમ હવે મેઘરાજા ખમૈયા કરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.
વરસાદને કારણે ગઇકાલે મુસ્લિમ સમાજના મોહરમ માસના તાજીયા નિમિતે યોજાયેલા કાર્યક્રમોમાં આયોજકોને સામાન્ય મુશ્કેલી પડી હતી.
ધોરાજીમા સીઝનનો કુલ વરસાદ ૮૩૧ મી.મી.૩૩.૫ ઇંચ નોંધાયો હતો.(૧.૫)