ભાવનગરના માતલપરની પ્રાથમિક શાળાના આચાર્યએ શિક્ષિકાનું બાવડુ પકડી છેડતી કરી : અન્ય ૩ શિક્ષિકાઓએ માર માર્યો
ભાવનગર, તા. ૧ર : ભાવનગરના જેસર તાલુકાના માતલપર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી એક શિક્ષિકાએ આ શાળાની અન્ય શિક્ષિકાઓ વૈશાલીબેન, શીતલબેન અને કિષ્ણાબેન તેમજ શાળાના આચાર્ય જીતેષ પટેલ વિરૂદ્ધ એવી ફરીયાદ નોંધાવી હતી કે ગઇ તા. ૩૧/૮ના રોજ આ શિક્ષિકાઓ પોતાના વર્ગમાં તેણી ન હોય તે પ્રકારનો મોબાઇલમાં ફોટો પાડી આચાર્યને તેણી ગેરહાજર હોવાની રજુઆત કરી હતી.
દરમ્યાન ગત તા. ૪/૯ના રોજ રીશેશમાં તેણીએ આ અંગે ત્રણેય શિક્ષિકાઓ સાથે વાતચીત કરતા ત્રણેય ઉશ્કેરાઇ જઇ તેણી ઉપર હુમલો કરી ઢીકા-પાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી હતી.
જે દરમ્યાન આચાર્ય જીતેષ પટેલ આવ્યા હતા અને તેણીનું બાવડુ જાલી છેડતી કરી તેણીનો મોબાઇલ તોડી નુકસાન કર્યું હતું.
આ અંગે શિક્ષિકાએ નોંધાવેલ ફરીયાદને આધારે બગદાણા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી ચકચાર જાગી હતી. (૮.૬)