સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th September 2019

હીરામાં મંદી આવતા કારખાનેદારો અને રત્નકલાકારો મુંઝાયાઃ કારખાના બંધઃ કરોડોનું ટર્નઓવર ઘટ્યું

અમરેલી: જિલ્લો ખેતી અને હીરા ઉદ્યોગ ઉપર આધારિત જિલ્લો છે ત્યારે હાલમાં અમરેલી જિલ્લાનો હીરા ઉધોગ મંદીના ભરડામાં સપડાયો છે. એક સમયે હીરાઉદ્યોગમાં સૂરત પછી અમરેલીનું નામ આવતું હતું ત્યારે માત્ર સાત વર્ષના જ ટૂંકા ગાળામાં હીરાઉદ્યોગના 500 જેટલા કારખાનાઓ બંધ થઈ ગયા છે જિલ્લામાં 800 કરોડનું ટર્નઓવર હતું જે આજે ઘટીને 300 કરોડે પહોંચ્યું છે.અમરેલી જિલ્લાનો હીરો તૈયાર થયા બાદ 95 ટકા માલ વિદેશમાં સપ્લાય થાય છે. આમ છતાં હીરામાં મંદી આવતા કારખાનેદારો અને કારીગરો પણ મુંઝવણમાં મુકાયા છે.

સમગ્ર ગુજરાતમાં હીરા ઉદ્યોગ સુરત અને અમરેલીમાં મોટા પાયે ચાલી રહ્યા છે. અમરેલી જિલ્લો મુખ્યત્વે ખેતી અને હીરાના ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. ખેતીને બાદ કરતા લોકો હીરા ઉદ્યોગમાં રોજી રોટી મેળવવા જોડાયેલ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ લાગી ગયું છે. દિવાળીના સમય પછી જિલ્લાના અમુક કારખાનાઓ બંધ થઈ ગયા છે. પહેલા હીરાના કારીગરો મહિને 20 હજારથી લઈ 25 હજાર સુધીનું કામ કરતા ત્યારે હાલ હીરામાં મંદી આવતા માંડ રૂપિયા 5 હજારથી લઈ 8 હજારનું કામ રત્નકલાકારો કરી રહ્યા છે.

રત્નકલાકારો અને હીરાના વેપારીઓ પણ મંદીના કારણે ચિતા કરતા જોવા મળે છે.વેપારીના કહેવા પ્રમાણે આવી મંદી હીરા ઉદ્યોગમાં આવી નથી.ખાસ કરીને નોટબંધી તેમજ જીએસટી પછી હીરા ઉદ્યોગને મોટી અસર જોવા મળી છે. રત્નકલાકારો અને વેપારી જેવી સ્થિતિ હીરાના કારખાનેદારોની છે.છેલ્લા ત્રણ ચાર વર્ષમાં હીરા ઉદ્યોગ મંદીના માર સામે ઝઝુમી રહ્યો છે.ત્યારે આ વખતે એવું લાગતું હતું કે જન્માષ્ટમી પછી હીરા ઉદ્યોગમાં તેજી આવશે પરંતુ ભારે મંદી જોવા મળી રહી છે. હીરાનો રફ માલ મળતો નથી. અમુક હીરાનો માલ બોમ્બેમાં પણ હીરાનો માલ પડ્યો છે. જે અહીં સુધી પહોંચી નથી શકતો.

જિલ્લામાં હીરા ઉદ્યોગમાં 2012મા હીરા ઉદ્યોગ સાથે 60 હજાર રત્નકલાકારો કામ કરતા હતા.જ્યારે જિલ્લામાં 1450 જેટલા નાના મોટા કારખાનાઓ હતા. 2018 અને 2019મા હીરાના 900 જેટલા કારખાનાઓ રહ્યા છે. જ્યારે 40 હજાર રત્નકલાકારો છે. 20 હજાર જેટલા રત્નકલાકારો મંદીને લઈ બીજા ઉદ્યોગ સાથે સંકળાઇ ગયા છે. ગયા વર્ષે વરસાદ પણ ઓછો પડ્યો છે.

હીરામાં મંદી હોય ત્યારે લોકો ખેતીમાં જોડાઈ જતા પરંતુ વરસાદ નહિવત આવતા ખેતીમાં પણ સમાવેશ થાય તેવી પોઝિશન નથી. મુખ્ય કારણ નોટબંધી, જીએસટી અને ડોલર ત્રણ વસ્તુની અસર સૌથી વધુ હીરા ઉદ્યોગ ઉપર પડી છે. પહેલા અમરેલી જિલ્લાનું ટન ઓવર 800 કરોડ રૂપિયાનું હતું હાલમાં 300 કરોડનું ટર્ન ઓવર અમરેલી જિલ્લાનું જોવા મળે છે.

અમરેલી જિલ્લાનો હીરા ઉદ્યોગ મંદીમા સપડાયો છે.જીએસટી,નોટબંધી, ડોલર ને લઈ હીરા ઉદ્યોગ મંદીમાં સપડાયો છે.પહેલા 900 કરોડનું વાર્ષિક ટર્ન ઓવર હતું.અત્યારે 300 કરોડનું વાર્ષિક ટર્ન ઓવર થાય છે.સરકાર હીરા ઉધોગ માટે પેકેજ આપે તેવી ડાયમંડ એસોશિયનના પ્રમુખ માંગ કરી છે.

(5:02 pm IST)