ભાવનગર જાલી નોટ કૌભાંડમાં સુરત ખાતેથી વધુ બે આરોપીઓ જાલી નોટ સાથે ઝડપાયા
ભાવનગર, તા.૧૧: ભાવનગર એસ.ઓ.જી. પોલીસે ખુંટવડા ખાતેથી એક ડોકટર રાકેશભાઇ બાધાભાઇ નાગોથા તથા ભગુભાઇ ઉર્ફે ભગત ભરવાડને રૂપિયા ૨૦૦૦ ના દરની ૨૬ હજારની બનાવટી ભારતીય ચલણી નોટો સાથે ઝડપી પાડેલ હતા અને ખુંટવડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટે વધુ તપાસ હાથ ધરેલ.
આ ગુન્હામાં પોલીસે અત્યાર સુધીમાં કુલ ૯ આરોપીઓને રૂપિયા ૫,૬૨,૭૦૦/- ની જાલી નોટો સાથે ઝડપી પાડેલ હતા અને આરોપીઓના રિમાન્ડ મેળવેલ હતા અને રિમાન્ડ પરના આરોપીઓની કબુલાત આધારે આ ગુન્હામાં સંડોવાયેલ વધુ બે ર્ંઆરોપીઓ (૧) ભાયાભાઇ કરશનભાઇ ગુજ્જર ઉ.વ. ૪૭ રહેવાસી સુરત શિવ શકિત નગર બ્લોક નં ૧૨૨ સુરત મુળ ગામ મહોબતપુરા તા. ગીર ગઢડા (૨) હિંમતભાઇ ઉકાભાઇ કાતરીતા ઉ.વ. ૩૨ રહેવાસી ૪૦૩ સીલીકોન એપાર્ટમેન્ટ ગોરાદડા રોડ સુરત મુળ રાજુલા, ભેરાઇ રોડ જી. અમરેલીવાળાઓને રૂપિયા ૩૮ હજારની જાલી નોટો સાથે ઝડપી પાડેલ હતા અને કોર્ટમાં રજુ કરે દિન-૨ ના રિમાન્ડ મેળવેલ છે. આમ એલ.સી.બી./એસ.ઓજી. પોલીસને ખુંટવડા ઝડપાયેલ જાલી નોટ પ્રકરણમાં વધુ ૩૮૦૦૦/- ની જાલી નોટ સાથે બે આરોપીઓને દબોચી લીધા હતા આ કેસમાં હાલ સુધી ૧૧ આરોપીઓ ઝડપી ૬.૦૭ લાખની જાલી નોટો કબજે કરેલ છે.