ગોંડલના રાણસીકીમાં સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી સંન્યાસ આશ્રમે ગુરૂપૂર્ણિમા મહોત્સવ
રાજકોટ, તા. ૧ર : ગોંડલ તાલુકાના રાણસીકીમા આવેલા સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી સંન્યાસ આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ધામધુમથી ઉજવાશે. આ માટે સ્વામીશ્રી સદાનંદજી અને સ્વામીશ્રી ભોલાનંદજીની આગેવાનીમાં ભાવિકો દ્વારા તડામાર તૈયારી કરાઇ રહી છે.
જે અંતર્ગત તા. ૧૬ને મંગળવારે સવારે ૯ કલાકે ધુન-સંકીર્તન ગુરૂવંદના અને પ્રાર્થનાથી કાર્યક્રમનો શુભારંભ થશે. ૯-૩૦ કલાકે સ્વામીજીની પ્રતિમાની પૂજનવિધિ, ત્યારબાદ ૧૦ કલાકે સ્વામીજીના સદ્શિષ્યો સ્વામીશ્રી સદાનંદજી અને શ્રી સ્વામી શ્રી ભોલાનંદજીના પ્રવચનો થશે. ૧૧-૪પ કલાકે 'ઁ નમઃ શિવાય' મંત્રલેખન-પોથીને પુષ્પાંજલિ-અર્ચન કરવામાં આવશે. ત્યારબાદ દાતાશ્રીઓને સન્માન તેમજ મહાનુભાવોના પ્રાસંગિક વકતવ્યો થશે. કાર્યક્રમને અંતે સર્વે શ્રોતાજનો, ઉપસ્થિત ધર્મપ્રેમી જનતા-જનાર્દનને ભોજન-પ્રસાદ આપવામાં આવશે. આ સમગ્ર મહોત્સવનું લાઇવ પ્રસારણ તા. ૧૬ના રોજ સવારે ૯થી બપોરે ૧ દરમિયાન કર્તવ્ય ચેનલ પર કરવામાં આવશે.
પ૧ કરોડ 'ઓમ નમઃ શિવાય' મહામંત્ર લેખનકાર્ય પૂર્ણ
રાજકોટ, તા. ૧ર : ગત વર્ષ ગુરૂપૂર્ણિમા મહોત્સવથી પ્રારંભ કરીને આ વર્ષ ગુરૂપૂર્ણિમા સુધીના ૧ વર્ષના સમયગાળામાં સ્વામીજીના અનુયાયી સેવકવર્ગે પ૧ કરોડ 'ઓમ નમઃ શિવાય' મહામંત્ર લેખનકાર્ય પૂર્ણ કર્યું છે.
એ નિમિત્તે ગુરૂપૂર્ણિમાના આગલા દિવસે તા. ૧૪ ને રવિવારે રાત્રે ૯ કલાકેથી તા. ૧પ ને સોમવારે રાત્રે ૯ કલાક સુધી ર૪ કલાક અખંડ 'ઓમ નમઃ શિવાય' મંત્રની ધુનનું આયોજન પણ કરવામાં આવેલ છે.
બાજરાના રાડાની ઝૂંપડીમાં રહીને સાધના કરી'તી
રાજકોટ, તા.૧ર : ગોંડલ તાલુકાનું રાણસીકી ગામ એટલે પૂજયપાદ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની સાધના સ્થળી-તપોભૂમિ, સ્વામીએ કાશીનગરીમાં વેદાંતાભ્યાસ પૂર્ણ કરી અહીં રાણસીકી ગામે પધારીને કઠીન તપશ્ચર્યા કરેલી. હાલમાં જયાં સંન્યાસ આશ્રમ આવેલો છે ત્યાં સ્વામીજીએ પહેલા પાંચ બાવળની નીચે બાજરાના રાડાની ઝૂંપડીમાં રહીને ચાતુર્માસના નિયમો પાળવા માંડયા. ભયંકર વાવાઝોડામાં, વરસાદમાં પણ સ્વામીજીની કુટિર સાવ કોરી હતી. આજુ બાજુના બાવળ અને વૃક્ષો પડી ગયા હતાં આવો આશ્ચર્યકારક ઘટના લોકોના સહકારથી અહીં નળીયાવાળો ઓરડો અને ઓસરીનું મકાન, આજુ બાજુ વૃક્ષો વગેરે ઉગાડીને આશ્રમનું નિર્માણ થયું. સ્વામીજીએ આ આશ્રમમાં ૧૩ માસ, ૬ માસ અને બીજા ૬ માસ એમ કાષ્ઠમૌન સાધના કરીને ખૂબ તપ કર્યું. કનક-કાંતાનો ત્યાગ, કરપાત્રમાં ભીક્ષા, પદયાત્રા પરિભ્રમણ વગેરે જેવા કઠીન નિયમો સ્વામીજીના સાધનામય જીવનના અલંકારી હતા.