જામનગરના રણજીતસાગરના પટ્ટમાંથી મળી આવ્યા પ્રાચીન શિવ મંદિરના અવશેષો
જામનગર તા ૧૨ : જામનગરના રાજાશાહી સમયમાં રજવાડાની ભેટ સમાન રણજીતસાગર ડેમ હાલ વરસાદના અભાવે ખાલીખમ થઇ ગયો છે. આ કોરા ધાકોડ રણજીતસાગર ડેમ નજીક આવેલ હર્ષદપુર ગામ રાજાશાહીના જમાનામાં બાકોટા-બેરાજા નામથી ઓળખાતું હતું. આ ગામથી ત્રણેક કિલોમીટરના અંતરે રણજીતસાગર ડેમના પટ્ટમાં એક સ્થળે પાકુ બાંધકામ ધરાવતું ભોંયરૂ મળી આવ્યું છે. આ ભોંયરાનો બીજો છેડો છેક જુનાગઢ સુધી હોવાની લોકવાયકા છે, જોકે જુની પેઢીના બુઝુર્ગ વડીલોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં જ બીજુ એક ભોંયરૂ પણ છે પણ તેની કોઇ જાણકારી નથી.
તાજેતરમાં જ રણજીતસાગર ડેમ વિસ્તારમાંથી ખેડુતોને કાંપ માટી કાઢવા માટેની મંજુરીના પગલે ખેડુતોને આ પટ્ટમાંથી પ્રાચીન શિવમંદિરના અવશેષો મળી આવ્યા છે. જેમાં શિવલીંગ, નંદી (પોઠિયો) તથા બાંધકામના અવશેષો મળી આવ્યા છે. આ ભોંયરા તથા મંદિરના અવશેષો અંગે પુરાતત્ત્વ વિભાગે તપાસ કરીને તે અંગે સત્તાવાર જાહેરાત કરવી જોઇએ તેવી હર્ષદપુર ગામલોકોમાં લાગણી પ્રવર્તે છે.