સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th July 2018

ઓસમ પર્વત પરથી ૭૦૦ લોકોએ ૧૦૦૦ કિલો પ્લાસ્ટિક દુર કર્યુ

વિદ્યાર્થીઓ - આગેવાનોએ ટિફિન લાવીને ૮ કલાક સેવા આપી : શૂન્ય બજેટ સેવા : નવરંગ કલબ અને અન્ય સંસ્થાઓ દ્વારા નમુનારૂપ કાર્ય : ડુંગરા પર વિવિધ ધાસ- લીંબોડી વાવ્યા

રાજકોટ તા. ૧૨ : નવરંગ  નેચર કલબ અનેક પર્યાવરણલક્ષી કાર્યક્રમો કરે છે. ત્યારે ઓસમ ડુંગર સ્વચ્છ કરવાનુ સૌથી મોટુ અભિયાન ઉપાડવામાં આવ્યુ હતુ. ઉપલેટાના ૬૦૦ વિદ્યાર્થીઓ અને આહિર સમાજના ૧૦૦ આગેવાનો મળી ૭૦૦ લોકો દ્વારા  ૮ કલાક  સુધી  જાહેરાત કરી ઓસમ પર્વતને  પ્લાસ્ટીક મુકત કરવામાં આવ્યો હતો. ઓસમમાંથી ૫૦ મણ જેટલો પ્લાસ્ટીકનો કચરો નિકળ્યો હતો.

ઓસમ ડુંગર સ્વચ્છ અભિયાન અંગે નવરંગ નેચર કલબના પ્રમુખ વી.ડી.  બાલાએ  જણાવ્યુ હતુ કે સવારે ૯ વાગ્યા થી સાંજે ૫ વાગ્યા સુધી  ૭૦૦ લોકો એ અલગ અલગ ૨૦ ટુકડીમાં આ અભિયાન પાર પાડ્યુ હતુ. ઓસમ ડુંગરના વિવિધ ભાગો જેવા કે હોળીનો ટેકરો , ખોડિયાર મા વાળો રસ્તો, માત્રી માતાજી નો રસ્તો  ટપકેશ્વર મહાદેવ, ભીમનો કોઠો , દેવશી બાપાનુ તળાવ, જૈન મંદિર , હેડંબાનો હિચકા વિસ્તાર સહિતની જગ્યાએથી કચરો વીણી એકત્ર કરવામાં આવ્યો હતો.

તેમણે જણાવ્યુ કે ઉપલેટાના ૬૦૦ વિદ્યાર્થીઓ પોતાનુ ટિફિન , પાણી, અને કચરો ભરવા માટે કોથડા લઇને સવારથી  અહી પહોચ્યા હતા. વિદ્યાર્થીઓની મહેનતે રંગ રાખ્યો હતો.

ઓસમ ડુંગરમાંથી સૌથી વધારે પાણીની ખાલી બોટલો મળી હતી. આ ઉપરાંત નાસ્તાના પડીકા, પાણીના પાઉચ અને અન્ય કચરો પણ મળી આવ્યો હતો.  સૌથી વધારે ચુનાની નાની પડીકીઓ હતી.  પણ તે વીણવામાં વધારે તકલીફ પડી હતી. તેમણે લોકોને અપીલ કરતા કહ્યુ કે  ઓસમ ડુંગર જેવા કુદરતી સ્થળો ને આ પ્રકારના પ્લાસ્ટીકના કચરાથી નુકશાન થાય છે. અહીની વનસ્પતીઓ, જીવજંતુઓ , પ્રાણી-પંખીઓને પણ આ પ્રકારના કચરાથી નુકશાન ભોગવવુ પડે છે. ડુંગરમાં છેક ઉપરના ભાગ સુધી અને તળેટીમાં તથા જયા મેળો ભરાય છે.  તે જગ્યાએ પણ સાફ-સફાઇ કરવામાં નવરંગ નેચર કલબ ઉપરાંત, ફુલછાબ, ધોરાજી - ઉપલેટા આહિર સમાજ પાટણવાવગામ, ગુજરાત સ્પોર્ટસ  એકેડમી -  જેતપુર ઉપલેટાની શાળા-કોલેજો, આહિર એકતા મંચ - ગુજરાત જોડાયા હતા.

વિદ્યાર્થીઓની સાથે આ અભિયાનમાં ઉપલેટા નગરપાલિકાના પૂર્વ - પ્રમુખ દાનાભાઇ ચંદ્રવાડીયા રસીકભાઇ ચાવડા - સરપંચ હડમતીયા પંચાયત , હરિભાઇ સુવા , ભાવેશભાઇ સુવા , શૈલેશભાઇ બુટાણી ઉપલેટા નગરપાલિકાના સભ્યો , નિકુલભાઇ ચંદ્રવાડીયા , મહેશભાઇ ચંદ્રવાડીયા , અર્જૂન આંબલીયા પણ ઉત્સાહ થી જોડાયા હતા.

ધાસના બી અને  લીંબોડી વાવ્યા

વી. ડી. બાલાએ જણાવ્યુ હતુ કે ઓસમ ડુંગરની તળેટીમાં ડુંગર ઉપર કાળી માટીના વિસ્તાર છે. ત્યાં જીંજવા નામના ધાસના બી વેરીને વાવવામાં આવ્યા હતા. જ્યારે વિદ્યાર્થીઓએ અલગ-અલગ વિસ્તારમાં ૪૦ કિલો જેટલી લીંબોડી છાંટી હતી. ખાસ કરીને ઝાડી- ઝાખરાવાળા ભાગમાં જેથી ઉગ્યા પછી છોડને રક્ષણ મળી રહે. (પ-ર૮)

 

(2:47 pm IST)