સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th July 2018

ભાવનગરના ગારિયાધારમાં વાલમ જળસંચય અભિયાન સમિતિ દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ માટે ૧૧,૦૦૦ વૃક્ષોનું વાવેતર

ગારિયાધારઃ ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા અને ગારિયાધારને હરિયાળુ બનાવવા માટે વાલમ જળસંચય અભિયાન સમિતિએ ૧૧,૦૦૦ વૃક્ષોનું વાવેતર કર્યું છે.

ગારિયાધાર અને આસપાસના વિસ્તારમાં જળસંચય માટે નમૂનારૂપ કામગિરી કરનાર વાલમ જળસંચય અભિયાને હવે ગારિયાધારને હરિયાળુ બનાવવાની નેમ લીધી છે અને વાલમ વૃક્ષારોપણ સમિતિની બનાવી છે. આ વર્ષે ગારિયાધાર શહેર, આસપાસના ગામડાઓના રસ્તાઓ, ચેકડેનો, નદી-નાળાઓ પર 11,133 વૃક્ષો વાવવા માટેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.

અભિયાન સાથે ઘનિષ્ટ રીતે જોડાયેલા નરેશ માણિયાએ જણાવ્યુ કે, અમારો ઉદ્દેશ્ય વૃક્ષો વાવી પર્યાવરણને બચાવવાનો છે. આ વર્ષે 11,133 વૃક્ષો વાવવાનો પ્લાન છે. આ માટે જેસીબી મશીનથી ખાડાઓ ખોદાઇ ગયા છે. આ ખાડાઓમાં કાળી માટી નાંખવામાં આવી છે અને 17થી વધુ મિસ્ત્રીઓ આ વૃક્ષો માટે પિંજરા બનાવવાનું કામ ગારિયાધારના મુક્તિધામ ખાતે કરી રહ્યા છે. અમે આ કામને એક અભિયાનના રૂપમાં લીધુ છે. આ તમામ વૃક્ષોની માવજતની પણ તકેદારી લેવામાં આવશે અને એક-એક છોડ મોટુ વૃક્ષ બને ત્યાં સુંધી તેની દેખભાળ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે

ગારિયાધારને હરિયાળુ બનાવવા માટેના આ અભિયાનમાં સુરતના ડાયમંડના ધંધા સાથે જોડાયેલા અને ગારિયાધારના વતની હોય એવા લોકોએ મોટુ આર્થિક યોગદાન આપ્યુ છે. નરેશ માણિયાએ વધુમાં જણાવ્યુ કે, વિવિધ લોકો દ્વારા વૃક્ષદિઠ પાંચસો રૂપિયા (પિંજરા સહિત)નું યોગદાન મળ્યુ છે. અમે સરકારના વન વિભાગની નર્સરીઓ અને ખાનગી નર્સરીઓમાંથી રોપા ખરીદ્યા છે. મુખ્યત્વે અમે દેશીકુળના વૃક્ષો વાવવાના છીએ. આ વૃક્ષોમાં મુખ્યત્વે વડ, પીપળ, ઉંમરો, અશોક, ખાટી આમલી, સિસમ, કંરજ વગેરે”.

આ અભિયાન સાથે જોડાયેલા ખોડાભાઇ માવાણીએ જણાવ્યુ કે, વાલમ જળસંચય અભિયાન દ્વારા તાજેતરમાં જ ચેકડેમ ઉંડા કરવાનું કામ કરવામાં આવ્યુ. 2000ની સાલથી અને ચેકડેમ બનાવવાનું શરૂ કર્યુ હતુ અને ગારિયાધાર અને આસપાસના વિસ્તારોમાં 180થી વધુ ચેકડેમો બનાવ્યા છે. આ ચેકડેમોની આસપાસ હવે મોટા પ્રમાણમાં વૃક્ષા રોપણ કરીશુ. 2006ના વર્ષમાં અને 5,000 વૃક્ષો વાવ્યા હતા અને હવે 11,000થી વધુ વૃક્ષો વાવવાનું અભિયાન હાથ પર લીધુ છે. વૃક્ષો વાવવા માટે ગારિયાધારના વિવિધ મહિલા મંડળોએ સામે ચાલીને આ કામમાં જોડાવવા વિનંતી કરી છે અને અમને કહ્યુ કે, છે કે વૃક્ષો વાવવા માટે અને જરૂરી સાધન-સામગ્રી લઇને આવીશુ. ઘરેથી ટિફિન લઇને આ કામમાં જોડાઇશું. આ જ અમારા કામની તાકાત. લોકો સામે ચાલીને સેવા આપવા તૈયાર થાય એ જ સાચુ અભિયાન.

ખોડાભાઇ માવાણીએ વધુમાં ઉમેર્યુ કે, એક વખત તમામ વૃક્ષોનું વાવેતર થઇ ગયા પછી તેને નિયમીત પાણી મળી રહે અને તેને કાયમ દેખરેખ રહે એ માટેની પણ વ્યવસ્થા ગોઠવી છે. જળ સંચયની કામગિરી અને વૃક્ષારોપણની કામગિરી માટે અમે કોઇ ટ્રસ્ટ બનાવ્યુ નથી પણ સમર્પિત લોકો ભેગા થયા અને તેમની એક સમિતિ બનાવી. બસ, સ્થાનિક લોકો સમય અને શ્રમનું યોગદાન આપે જ્યારે સુરત રહેતા લોકો આર્થિક સહયોગ આપે. ગારિયાધારનું આ વાલમ વૃક્ષારોપણઅભિયાન આખાય ગુજરાતે અનુસરવા જેવું ખરું.

(6:04 pm IST)