સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th June 2019

પારડીના વાલજીભાઇ, રાજકોટના મોહનભાઇ અને નિલેષભાઇના બેભાન હાલતમાં મોત

ત્રણેયએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ સ્વજનોમાં શોક

રાજકોટ તા. ૧૨: શાપરના પારડીમાં શિતળા માતાજીના મંદિર પાસે રહેતાં અને કારખાનામાં મજૂરી કરતાં વાલજીભાઇ ગોવિંદભાઇ ખેતલીયા (ઉ.૫૦) નામના પ્રોૈઢ રાત્રે નવેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતક બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બીજા બનાવમાં કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે વેલનાથપરામાં રહેતાં રતિભાઇ મોહનભાઇ મંડલિક (ઉ.૫૦) નામના ગુર્જર પ્રજાપતિ પ્રોૈઢ સાંજે સાતેક વાગ્યે ઇમિટેશનના કામ માટે વેપારીને મળવા કુવાડવા રોડ પર સમર્પણ પાર્ટી પ્લોટ પાસે ગયા ત્યારે એકાએક છાતીમાં દબાણ થતાં બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલાએ બી-ડિવીઝનમાં જાણ કરી હતી. મૃતક ઇમિટેશનનું કામ કરતાં હતાં અને ત્રણ ભાઇ ત્રણ બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. બનાવથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

ત્રીજા બનાવમાં કાલાવડ રોડ પર વામ્બે આવાસ કવાર્ટરમાં રહેતાં નિલેષભાઇ ચુનિલાલ જોધપુરા (ભાવસાર) (ઉ.૫૨)ને કેન્સરની બિમારી હોઇ રાત્રે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. મૃતક ત્રણ ભાઇ અને બે બહેનમાં નાના હતાં અને ધોબી કામ કરતાં હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:57 am IST)