સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

ભાવનગરમાં કોરોનાથી વધુ ત્રણના મોત અને ૩૬૪ કોરોના પોઝિટિવ કેસ : ૩૨૭ દર્દીઓ કોરોનામુકત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૮,૦૪૭ કેસો પૈકી ૪,૪૬૪ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૨ : ભાવનગર જિલ્લામા વધુ ૩૬૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૮,૦૪૭ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૬૦ પુરૂષ અને ૯૩  સ્ત્રી મળી કુલ ૨૫૩ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૯, ઘોઘા તાલુકામાં ૧૧, તળાજા તાલુકામાં ૧૨, પાલીતાણા તાલુકામાં ૪, વલ્લભીપુર તાલુકામાં ૧, સિહોર તાલુકામાં ૭૨, ગારીયાધાર તાલુકામાં ૧ તેમજ ઉમરાળા તાલુકામાં ૧ કેસ મળી કુલ ૧૧૧ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

ભાવનગર શહેર ખાતે રહેતા બે કોરોના પોઝિટિવ દર્દીઓ અને તાલુકાઓમાં ઘોઘા તાલુકાનાં અવાણીયા ગામ ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દી મળી કુલ ૩ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૨૭૯ અને તાલુકાઓમાં ૪૮ કેસ મળી કુલ ૩૨૭ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટલમાંથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૧૮,૦૪૭ કેસ પૈકી હાલ ૪,૪૬૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૨૩૭ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(10:59 am IST)