સુપ્રિમ કોર્ટના જજની અધ્યક્ષતામાં મગફળીકાંડની તટસ્થ તપાસ કરવા માંગણી
લાઠી-બાબરાના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરનો આક્રોશ
અમરેલી, તા. ૧ર : લાઠી-બાબરાના ધારાસભ્ય અને કિસાન-ખેત મજદૂર કોંગ્રેસ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું છે કે, ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓ બની રહી છે જેની સુપ્રિમ કોર્ટના નામદાર જજશ્રીની અધ્યક્ષતામાં આ પ્રકરણની તટસ્થ તપાસ કરવા માંગણી કરી છે.
વિરજીભાઇ ઠુંમરે વધુમાં જણાવ્યું હતું કે, મગફળીની ખરીદીમાં કોણ મલાઇ તારવી ગયું ? કૃષિ મહોત્સવ પાછળ લાખોનો ધુમાડો અને ખેતીલાયક જમીનના ક્ષેત્રફળમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.
વિરજીભાઇ ઠુંમરે વધુમાં જણાવ્યું કે રાજયમાં ૩૩ લાખ ટન મગફળીના ઉત્પાદન સામે માત્ર ૭.૩૧ લાખ ટન મગફળી ખરીદીને સામાન્ય ખેડૂતોને અન્યાય કરાયો છે. આ ઉપરાંત સરકારી ગોડાઉનોમાં ખડકાયેલા ખાલી કોથળાઓને ઠાલવીને મગફળીની ગુણવતાની તપાસ કરવા અંતમાં વિરજીભાઇ ઠુંમરે માંગણી કરી છે. (૮.૧૦)