ધ્રોલના વોંકળાની સફાઇ કામનો કૃષિ મંત્રી ફળદુના હસ્તે પ્રારંભ
કૃષિમંત્રીએ વાંકિયાના ચેકડમેમાં ચાલતા જળસિંચયની કામગીરી નિહાળી
જામનગર, તા.૧૨ : ધ્રોલના બ્રહ્મનાથ મહાદેવ મંદીર પાસેના વોંકળાના સફાઇ કામની અને ધ્રોલ તાલુકાના સોયલ અને વાંકિયા ગામના તળાવને ઉંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ થયો છે તેમજ બાડા ખાતે મનરેગા કામનું, ચંગા ગામે રંગમતી ડેમ અને કાલાવડ ખાતે ઉંડ-૩ ડેમ સાઇટની કામગીરીની જાતમુલાકાત કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુએ લીધી હતી.
રાજયમાં જળસંચય, જળસંગ્રહ માટે જનભાગીદારી થકી ચેકડેમ, તળાવોનું ખોદકામ, કેનાલોનું સફાઇ કામ, ખેત તલાવડી નિર્માણનું અભિયાન શરૂ થયુ છે. જેનાથી આવનારા ચોમાસામાં વધુ જળરાશિ ઉપલબ્ધ બનશે. પીવાના પાણી માટે ભૂગર્ભ જળના તળ ઉંચા આવશે. જેનો લાભ ખેડુતોને મોટા પ્રમાણમાં થશે. વાંકિયામાં પાંચ જેટલા ટ્રકોમાં જેસીબીથી નદીમાંથી કાંપ-માટી કાઢી નદીની સફાઇ કરવામાં આવી રહી હતી. આ કામગીરી માટે પચાસ હજાર રૂપિયાનો ખર્ચ થશે. આ ખર્ચ ધ્રોલની જી.એમ. પટેલ છાત્રાલયના અનુદાનથી થઇ રહ્યુ છે.
આ પ્રસંગે ગામના અગ્રણીશ્રી છગનભાઇ ભિમાણી, નોડલ ઓફીસરશ્રી પી.એમ.ભોજાણી, સિંચાઇ ખાતાના કે.એમ. ગોસ્વામી, નિવૃત સિંચાઇ અધિકારીશ્રી કે.જે.ચાવડા, તલાટી અજય કાલરીયા, પ્રાંત અધિકારીશ્રી મિતા જોષી, મામલતદારશ્રી ટહેલયાણી, શ્રી ભગીરથ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.