સુજલામ- સુફલામ જળ સંચય અભિયાનથી ગુજરાતમાં હરીયાળી ક્રાંતિ છવાશે
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના અનેકવિધ ગામોમાં જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવતા નરેન્દ્રબાપુ
રાજકોટઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં ગુજરાત સ્થાપના દિનથી તા.૩૧મે સુધી જળ સંચયના આશયથી સુજલામ સુફલામ જળ સંગ્રહ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના દાણાવાડા, ટીકર, ખંપાળીયા, સરા, મુળી, ગઢાદ, સીધ્ધસર, સરલા વગેરે ગામોમાં ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન અને મહામંડેલેશ્વર નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્રબાપુ) દ્વારા અને સુરેન્દ્રનગરના સાંસદ દેવજીભાઈ ફતેપરા તેમજ અધિકારીઓ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં તળાવ ઉડા ઉતારવાની કામગીરી, જળાશય ડીસીલ્ટીંગ સહીતની કામગીરીનો પ્રારંભ કરાયો હતો. આ તકે નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્રબાપુ)એ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે જળ અભિયાન અન્વયે તળાવો ઉંડા કરવા અને સંગ્રહ શકિત વધારવા માટે આયોજન કર્યુ છે તે આવકારદાયક છે અને તેમા સૌએ સહકાર આપી સહભાગી બનવુ જોઈએ, આમ કરવાથી ચોમાસામાં પાણીની તકલીફ પડશે નહી, સુજલામ- સુફલામ જળ અભિયાનથી તળાવો ઉંડા કરવાનું કામ ભવિષ્ય માટે અને પાણી સંગ્રહ માટે ખુબ જ સારૂ કાર્ય બની રહેશે અને આવનારા જળસંકટનો સામનો કરી શકાશે.