સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th February 2019

કલ્યાણપુરમાં જાનમાં ફાયરીંગઃ મહિલાનું મોત

દાંડીયારાસ વખતે અરજણ ડાંગરે ભડાકો કરતા જાન જોવા આવેલ મહિલાનો ભોગ લેવાયો

 ખંભાળીયા, તા. ૧ર : ભાણવડના કલ્યાણપુરમાં લગ્નની જાન પરણીને આવ્યા બાદ જાન જોવા ગયા હતા. ત્યારે ફાયરીંગ થતાં એક મહિલાનું મોત થયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ ભાણવડના કલ્યાણપુર ગામે રહેતા ભૂપતભાઈ ગોજીયાના દિકરાની જાન પરણીને ગામમાં પરત આવી હતી ત્યારે ફરીયાદી રાણાભાઈ પરમાર તેમના પત્નિ પુંજીબેન ઉ.વ.૫૬વાળા આ જાનને જોવા ઉભા હતા ત્યારે જાનૈયા દાંડીયા રાસ રમતા હતા.

ત્યારે આરોપી અરજણ પાલાભાઈ ડાંગર ઉત્સાહમાં આવી જોટો બંદુકમાંથી હવામાં ભડાકો કરતા તેનો કારટીસ અકસ્માતે પુંજીબેનને લાગી જતા ગંભીર ઈજાઓ થતા મરણ ગયેલ. આ સમગ્ર મામલે મરણ જનારના પતિ રાણાભાઈ પરમારે આરોપી અરજણભાઈ પાલાભાઈ ડાંગર વિરૂદ્ધ ભાણવડ પોલીસમા ફરીયાદ નોંધાવતા આગળની તપાસ હાથ ધરી છે.

આ બનાવથી ગામજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.  જો કે આજકાલ પ્રસંગોમાં એક શોખ અથવા ફેશન થઈ ગઈ હોય તેમ કેટલાક પ્રસંગોમાં હવામાં ભડાકા કરવામાં આવી રહ્યા છે.

અકસ્માત

ખંભાળીયા જામનગર રોડ પર પ કિ.મી. દૂર કંચનપુર ગામના પાટીયા પાસે મો.સા. ઉપર જઇ રહેલ ગુલાબભાઇ રાયચુરાને એક સ્વીફટ કાર નં.જીજે૧૦બીજી-૮૧૧૧ના ચાલકે પોતાની ગફલતભરી રીતે ચલાવી ઉપરોકત મો.સા.ને હડફેટે લેતા મો.સા. સવાર ગુલાબભાઇ રાયચુરાને માથામાં હેમરેજ તથા પગમાં ત્રણ ફ્રેકચર સહિતની ઇજા કરી સ્વીફટ કાર ચાલક પોતાની ગાડી લઇ નાશી જતા આ બનાવ અંગે કાર ચાલક વિરૂદ્ધ ખંભાળીયા પોલીસમાં ઇજા પામનારના પુત્ર ભવદીપ રાયચુરાએ ફરીયાદ નોંધાવાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.(૮.૧૩)

 

(1:38 pm IST)