મેંદરડા બાયપાસ ચોકડીથી ઇવનગર રોડના કામમાં ગેરરીતિ મુદ્ે રજૂઆત
મેંદરડા તા. ૧ર :.. સરકારશ્રી દ્વારા લાખો રૂ.ના ખર્ચે હાલમાં સાત વર્ષ બાદ મુદત પુરી થયા બાદ હાલ જે ડામર રોડ બની રહેલ છે તે રોડમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થઇ રહેલ છે. હાલમાં જે બાયપાસ ચોકડીથી ઇવનગર તરફ જતો જે રોડ છે તે રોડ પુરતી સફાઇ કર્યા વગર, જયાં મોટા ખાડા પડી ગયેલ છે તે ખાડા પર ડાયરેકટ રોડ પુરતી થીકનેશ (જાડાઇ) વગર બની રહેલ છે. રોડની સાઇડ જે હાર્ડ મોરમથી ભરવાને બદલે આજૂ બાજૂની મરેલ માટી, જાખરા, કાકારા વગેરે નાખીને ભરવામાં આવી રહેલ છે. પરિણામે રોડ કરતાં બંને સાઇડો ઉચી જણાય છે. પરિણામે ચોમાસાના પાણીનો નિકાલ ન થવાના કારણે રોડનું આયુષ્ય લાંબુ રહેશે નહીં.
ઉપરોકત રોડ મેંદરડા તાલુકા તથા સોમનાથ જીલ્લાના અડધા તાલુકાના લોકો આ રોડથી પસાર થાય છે તેમની સુવિધા જળવાય રહે અને રોડનું કામ એસ્ટીમેન્ટ મુજબ થાય તથા બાંધકામ ખાતાના સુપર વાઇઝરની હાજરીમાં થાય તેવી માગણી જાત તપાસ કર્યા બાદ મેંદરડા તાલુકા પંચાયત વિપક્ષના નેતા શ્રી ડો. જે. બી. પાનસુરીયા એ જૂનાગઢ જીલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર તથા મુખ્ય મંત્રીશ્રીને આ અંગે સત્તાવાર આવેદન પત્ર આપીને જાણ કરી છે. હાલમાં થયેલ કામની પણ તપાસ કરવાની માગણી કરેલ છે અને જયાં જયાં ગેરરીતિ જણાવેલ હોય તે અંગે પેમેન્ટ સ્ટોપ કરવા સતાવાળાઓને અનુરોધ કરેલ છે. (પ-૬)