સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

શિક્ષણ ધંધો નથી, ઉત્તમ સેવા છે : મોરારીબાપુ

તલગાજરડામાં ૧૧ પ્રા. શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરાયો

ભાવનગર, તા. ૧ર : સૌરાષ્ટ્રના મહુવા શહેર નજીકના તલગાજરડા ગામ ખાતે આજે ગુજરાત રાજયના પ્રાથમિક શિક્ષણક્ષેત્રે કામ કરી રહેલા પ્રાથમિક શિક્ષકોમાંથી ૧૧ પ્રતિભાવંત પ્રા. શિક્ષક બહેનો-ભાઇઓને મોરારી બાપુ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ પારિતોષિક વડે નવાજવામાં આવ્યા હતાં.

સાલ, પ્રશસ્તિપત્ર, સૂત્રમાલા અને પચીસ હજાર રૂપિયાની રાશિ વડે આજે તલગાજરડાની પ્રા.શાળામાં મહુવા તાલુકાના શૈક્ષણિક અધિવેશન વેળાએ મોરારીબાપુએ અશોકભાઇ ક. પટેલ (મોટા પોંઢા આદર્શ શાળા, તા. કપરાડા, જિ. વલસાડ), રમેશકુમાર દે. પંડયા (નાયકા ફળીયા સોટા સોનેલા પ્રા. શાળા, તાલુ. લુણાવાડા, જિ. મહીસાગર), નિલેષકુમાર ર. સોલંકી (ટીંબાપુરા પ્રા. શાળા, તા. નડીયાદ, જિ.ખેડા), સતીષકુમાર પુ. પ્રજાપત (બાકરોલ કે.વ. શાળા, તા. કાલોલ , જિ. પંચમહાલ), દયાબેન સ. સોજીત્રા (અમરાપુર પ્રા. શાળા, તા. કુંકાવાવ, જિ. અમરેલી), પ્રતાપસિંહ મો. રાઠોડ (ઝાંખરીયા પ્રા.શાળા, તા. બાયડ, જિ. અરવલ્લી), ડો. ધ્રુવગીરી ગોસ્વામી (વાંકાનેર, જિ. મોરબી), મનસુખભાઇ સરવૈયા ગોવિંદપરા પ્રા. શાળા, તા. વિસાવદર, જિ. જુનાગઢ), જગતસિંહ ર. યાદવ (ઝઘડિયા, જિ. ભરૂચ), વિજયસિંહ રા. ગોલેતર (ભંડારીયા પ્રા. શાળા, તા. ગઢડા, જિ. બોટાદ), નિકેતાબેન રા. વ્યાસ કનગર પ્રાથમિક વેજલપુર પબ્લીક સ્કૂલ-વેજલપુર-અમદાવાદ)ને સને ર૦૧૮ના એવોર્ડથી સન્માનીત કર્યા હતા. આ વેળાએ મહુવા તાલુકાના વય નિવૃત થતાં ૧૦ જેટલા પ્રા. શિક્ષકોને પણ વિદાય સન્માન આપવામાં આવ્યું હતું.

એવોર્ડ અર્પણ કરતા મોરારીબાપુએ આજના દિવસને મંગલ ઉત્સવ ગણાવ્યો હતો. મહિમાવંત પાંચ વસ્તુઓ-તત્વોની વાત કરતા બાપુએ પ્રા. શિક્ષકો માટે પંચ તત્વો કયાં છે ? પ્રાથમિક શિક્ષકો માટે પાંચ તત્વો વર્ણવતા બાપુએ સેવા, સ્વાશ્રયી, સાદગી, સ્વાભિમાન અને સમરણશીલનો મહિમા કરતા ઉમેર્યું હતું કે, આ ધંધો નથી, ઉત્તમ સેવા છે. સેવાએ અમૂલ્ય હોય છે. આપણું કાર્ય એ સેવા છે.

રાજયના શિક્ષકોના મુખ્ય પડતર પ્રશ્નો વિશે થયેલી રજૂઆતો વિશે પણ ચર્ચા કરી હતી. આ પ્રસંગમાં રાજય સંઘના પૂર્વ પ્રમુખ દિલીપસિંહ ગોહિલ, ભાવનગર જિલ્લા પ્રા. શિક્ષક સંઘના મહામંત્રી ગજેન્દ્રસિંહ વાળા, રાજય સંઘના મહામંત્રી સતીષભાઇ પટેલે પણ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમનું રસપ્રદ સંચાલન ભરતભાઇ પંડયા બગદાણાએ સંભાળ્યું હતું. સ્વાગત પ્રવચન ગણપતભાઇ પરમારે અને આભારવિધિ મનુભાઇ શિયાળે કરી હતી. (૮.૬)

(11:58 am IST)