સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

ભાણવડઃ આંગણવાડી હેલ્પરનું રાજીનામું

ગંભીર લાપરવાહી પર ફરી એકવાર પડદો?: વાલીઓની ચેકીંગ ટીમ રચી પ્રકરણ પર પૂર્ણવિરામ?

   ભાણવડ, તા., ૧૨:   આંગણવાડી પ્રકરણમાં નકકર કાર્યવાહી થયા વગર જ મામલો રફેદફે કરી નાખવામાં આવતા  નિયત સામે સવાલો ઉઠયા છે.

ભાણવડના રામેશ્વર પ્લોટમાં આવેલી આંગણવાડી કેન્દ્ર નં.૭(નવુ ૪) ઈયળો અને ધનેડાવાળી સડેલી મગદાળ રાંધીને ખવડાવી અક્ષમ્ય લાપરવાહી દાખવી હોવા છતાં તેમજ ત્રણ માસથી મગની છડી દાળ આવી જ ન હોવાની સ્પષ્ટ કેફિયત બાદ પણ કોઈ નકકર કાર્યવાહી કરવાને બદલે સંચાલિકાની માફી અને હવે પછી આવું નહિ થાય તેની મૌખિક ખાતરીતેમજ બનેલી રસોઈના ચેકિંગ માટે પાંચ મહિલાવાલીઓની કમિટી બનાવી દઈ રીતસરનો પડદો જ પાડી દેવામાં આવ્યો. ત્યારે આ આંગણવાડીના હેલ્પર રમીલાબહેને આઈસીડીએસને પોતાનું રાજીનામુ આપી દીધુ હોવાનો ખુલાસો થયો છે.પરંતુ સવાલ એ છે કે,આંગણવાડીઓમાં આવી લાપરવાહીની ઘટનાનો આ કોઈ પ્રથમ બનાવ નથી આ પહેલા પણ અનેકવખત આવી બેદરકારી સામે આવી છે. ત્યારે એવુ તે શું રહસ્ય છે કે,નાના ભુલકાઓના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરનારાઓનો માત્ર માફી માંગી લેતા જ છુટકારો થઈ જાય છે.

જો ખરેખર સરકારે આંગણવાડીમાં આવતા નાના બાળકો કે જે દેશનું ભવિષ્ય છે તેના તંદુરસ્ત આરોગ્ય માટે ઘડેલી યોજનાઓનો ખરા અર્થમાં લાભ બાળકો સુધી પહોંચે છે કે નહિ તેની ચકાસણી કરવાની ફરજ નથી ?  ભાણવડમાં વારંવાર આવી ઘટનાઓ બની રહી હોવા છતાં સરકાર કેમ લાલ આંખ કરી શકતી નથી ? (૪.૩)

(11:55 am IST)