સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

મોરબીની માર્કેટ સહિત ઠેર ઠેર ઉભરાતી ગટરો પ્રશ્ને નગરપાલિકામાં ટોળારૂપે રજૂઆત

મોરબી તા. ૧૨ : મોરબીના નહેરૂ ગેઇટ ચોક જયાં શહેરની મુખ્ય શાક માર્કેટ આવેલી છે જયાં ગટરના ગંદા પાણી ઉભરાવવાનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી છે તો છેલ્લા એક માસમાં વેપારીઓ અનેક વખત રજૂઆત કરી ચુકયા છે પરંતુ પાલિકા કચેરી દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા નથી જેથી રોષે ભરાયેલું વેપારીનું ટોળું પાલિકા કચેરી દોડી ગયું હતું જોકે હમેશની જેમ પાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસર કચેરીએ હાજર ના હતા અને પાલિકાના કર્મચારી સમક્ષ વેપારીઓએ આક્રોશ ઠાલવ્યો હતો અને પોતાની માંગણીઓ રજુ કરી હતી શહેરની મુખ્ય શાક માર્કેટમાં ઉભરાતી ગટરથી વેપાર ધંધા ઠપ્પ છે અને ગ્રાહકો બજારમાં આવી સકે નહિ તેવી સ્થિતિ નિર્માણ પામી છે

ઉપરાંત મોરબીના કલેકટર બંગલો નજીકના વિસ્તારમાં પણ ઉભરાતી ગટરની સમસ્યા રોજીંદી બની છે જે મામલે અગાઉ પણ પાલિકાને આવેદન પાઠવ્યા છતાં કોઈ નિવેડો આવ્યો ના હોય ગઇકાલે સામાજિક કાર્યકર રાજુભાઈ દવે વેપારીઓને સાથે રાખીને પહોંચ્યા હતા અને આઠ દિવસનું અલ્ટીમેટમ આપી દેવાયું છે તે ઉપરાંત શહેરના હાર્દ સમાં શનાળા રોડ પર સરદાર બાગ નજીક ગટર ઉભરાઈ ગંદા પાણી રોડ પર આવી ગયા હતા જોકે આ દ્રશ્યો જોઇને પાલિકા તંત્રને શરમ આવતી નથી અને આજે પાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ના હોય, પાલિકાના કર્મચારીઓએ વેપારીના ટોળાને શાંત પાડીને ખાતરી આપી રવાના કર્યું હતું

સ્વચ્છતા સર્વેક્ષણના  નાટકો શા માટે?

સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનના નામે નર્યું ડીંડક ચલાવવામાં આવી રહ્યું છે ને તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણ માટેની ટીમ મોરબી આવી હતી જોકે શું અધિકારીઓને ઉભરાતી ગટર દેખાઈ ના હતી કે પછી જોવા છતાં નર્યા નાટક કરવા જ ટીમ આવી હતી તેવી ચર્ચા પણ લોકમુખે જોવા મળી છે.(૨૧.૨)

(9:56 am IST)