કચ્છમાં લગ્નના દશમા દિવસે પરિણીતા પતિને સુતો મુકીને નાશી છુટી
ભુજ : કચ્છમાં પરિણીતા લગ્નના ૧૦માં દિવસે પતિને સુતો મુકીને નાશી છુટતા ચકચાર જાગી છે.
ભુજના સુખપર ગામે રહેતા જેન્તીલાલ હીરજીભાઇ મેપાણી નામના ૩૫ વર્ષીય યુવક વલસાડના પ્રદીપ ગોહિલ મારફત લગ્નની વાત ચલાવી હતી અને કહ્યું હતું કે, કોઇ સારી કન્યા ધ્યાનમાં હોય તો કે જે, જેથી તા.૨૯/૧૨/૨૦૧૭ ના રોજ એક શીલા નામની યુવતી અને તેનો ભાઇ અને તેની બહેનને સાથે લઇને સુખપર ગામમાં આવેલા. તા.૨૯ના રોજ ત્યાં રોકાયા અને તા.૩૦ ના વાતચીત ફાઇનલ થઇ. મહારાષ્ટ્રના કોઇ ગામનું નામ આપી ત્યાંના વતની હોવાનું જણાવ્યું હતું અને જે માટે આધારકાર્ડ પણ આપ્યું હતું. તા.૩૦ના શીલાના ભાઇ-બહેનને રૂપિયા દોઢ લાખ આપવામાં આવ્યા હતા અને લગ્ન થયા હતા. તા. ૩૧-૧૨ ના પ્રદીપ તથા દુલ્હન શીલાના ભાઇ બહેન નીકળી ગયા હતા.
નવી નવેલી દુલ્હન તા. ૯ ના રોજ તેના સાસુ સાથે વહેલી સવારે પ.૩૦ વાગ્યે નિત્યક્રમ મુજબ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા નીકળી હતી.
દરમ્યાન તેણે સાસુને બાથરૂમ જઇને આવું તેમ કહી નીકળી હતી. પછી સાસુમાં પુત્રવધુની રાહ જોતા રહયા અને નવ દિવસની દુલ્હન પણ મહારાષ્ટ્ર પહોંચી ગઇ હોવાની વાત છે. જોકે, આ મામલે હજુ કોઇ પોલીસ ફરિયાદ થઇ નથી પરંતુ માનકુવા પોલીસ મથકે ગુમશુદા નોંધ દાખલ કરવામાં આવી છે. વધુ તપાસ માનકુવા પોલીસ સ્ટેશનના એએસઆઇ રમેશભાઇ સીજુ ચલાવી રહ્યા છે.
જયારે પ્રદીપ શીલા નામની કન્યા અને તેના ભાઇ બહેન સાથે આવ્યો ત્યારે તેઓ કયાંના રહેવાસી છે તે વાતની પૂછપરછની પૃષ્ટિ કરવા માટે શીલાએ તેનું આધારકાર્ડ પણ આપ્યું હતું.
તેના ગુમ થયા બાદ આધારકાર્ડની તપાસ કરતા તે પણ બોગસ હોવાનું નીકળ્યું છે. હાલ તેના ફોનનું લોકેશન મહારાષ્ટ્રમાં બતાવે છે જે હવે બંધ થઇ જાય તો નવાઇ નહી. એ વાતની પૃષ્ટિ થાય છે કે સુખપરનો પટેલ યુવક કોઇ છેતરપીંડી કરતી ટોળકીનો ભોગ બનતા ભારે ચકચાર જાગી છે.