૨૨૧ કિલોના વજનવાળા દાદીમાના અંતિમ સંસ્કાર તેમના બેડ સાથે કરવા પડયા
તેમને ટ્રેકટરમાં સ્મશાને લઈ જવામાં આવ્યાં
જૂનાગઢમાં મંજુલા કાચાના વજનને કારણે તેમની નનામી કાઢવી અઘરી હોવાથી બેડ સાથે જ તેમને વિદાય આપવામાં આવી હતી
મુંબઈ, તા. ૧૨ :. જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં રહેતા ૬૯ વર્ષના મંજુલાબેન કાચાનો ગઈકાલે દેહાંત થયો. મંજુલાબેનનું વજન ૨૨૧ કિલો હોવાથી તેમની અંતિમક્રિયા તે જે લાકડાની સેટી પર સૂતા હતા એના પર જ કરવામાં આવ્યા. વજનને કારણે નનામી કાઢવી અઘરી હોવાથી તેમના પરિવાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મંજુલાબેનની ઈચ્છા હતી કે, તેમના નેત્ર અને દેહનું દાન કરવામાં આવે, પણ જૂનાગઢ મેડીકલ કોલેજ દ્વારા અમુક પેપર્સની ડિમાન્ડ કરવામાં આવી જે પરિવાર પાસે ન હોવાથી શકય નહોતું બન્યું અને મંજુલાબેનની અંતિમ ઈચ્છા અધુરી રહી ગઈ હતી. જો કે પોતે જે બેડ પર છેલ્લા અઢી વર્ષથી પથારીવશ હતા એ જ બેડ તેમનો અંતિમ સાથી બન્યો અને તેમની સાથે જ એ અગ્નિમાં ઓઝલ થયો.
મંજુલાબેનના અંતિમ સંસ્કાર માટે શબવાહિની પણ તેમના ઘર સુધી આવી શકે એમ ન હોવાથી તેમને તેમની સેટી સાથે જ બાંધીને એના પર જ બધી જરૂરી વિધિ કરીને ટ્રેકટરમાં લાવવામાં આવ્યા અને ટ્રેકટરમાં જ આ અંતિમયાત્રા નિકળી હતી.