૨૫મીએ મોરબીમાં મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમ થશે
મોરબી તા. ૧૨ : લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો જાન્યુઆરી-૨૦૧૮ માસનો મોરબી જિલ્લાનો મુખ્યમંત્રીનો 'ફરિયાદ નિવારણ કાર્યક્રમ' તા.૨૫ ના રોજ સવારે ૧૧ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે, તથા તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ જે-તે તાલુકા મથકે મામલતદાર કચેરીમાં યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્ર્નો તેમને પહોંચતા કરવાના રહેશે તેમજ ગ્રામ સ્વાગતમાં ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્ર્નો/રજૂઆત અંગેની અરજી 'મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી' તેમ લખીને સંબંધિત ગામના તલાટી/મંત્રીને સંબોધીને પહોંચતી કરવી.
મહેસુલી તંત્રને લગતા પ્રશ્નો મોરબી જિલ્લા પુરતા જિલ્લા કલેકટર કચેરી, મોરબી ખાતે રજુ કરવાનાં રહેશે અન્ય ખાતાના પ્રશ્નો હોયતો તે પ્રશ્નો જેતે ખાતાને જ મુદત હરોળ રજુ કરવા ખાસ નોંધ લેવી. જયારે (૧)મહેસુલી તંત્ર (ર)જિલ્લા પંચાયત (૩)પોલીસ વિભાગ (૪)ગુજરાત વિદ્યુતબોર્ડ (પ)એસ.ટી. (૬) પાણી પુરવઠા બોર્ડ (૭)નગરપાલીકાના પ્રશ્નો જિલ્લા કલેકટર કચેરી, મોરબી ખાતે તારીખ ૨૫નાં રોજ સવારનાં ૧૧ કલાકે કચેરીનાં સભાખંડમાં સંબંધિત ખાતાનાં અધિકારીઓ અને કલેકટર સાંભળશે. આ સિવાયના અન્ય ખાતાના પ્રશ્નોની ચર્ચા કલેકટર કચેરી ખાતે થશે નહી. આ સિવાયનાં પ્રશ્નો માટે જિલ્લામાં આવેલી જે તે ખાતાની જિલ્લા કક્ષાની કચેરીમાં તેજ દિવસે ફરીયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા અધિકારીઓ પ્રશ્નોનો નિકાલ કરશે. જેની અરજદારોને નોંધ લેવા મોરબી નિવાસી અધિક કલેકટર, કેતન પી. જોષી દ્વારા જણાવાયું છે.