સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

ટંકારામાં કોંગ્રેસ સમિતિની બેઠક મળી ૧૦૦ ટકા પાક વિમો : પરીક્ષા રદના ઠરાવો કરાયા

ટંકાર, તા. ૧૧ : ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી યોજાયેલ. તેમાં નિરીક્ષક શ્રી રાજદીપસિંહ ઉપસ્થિત રહેલ હતા.

તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપતભાઇ ગોધાણીએ જણાવેલ કે દિવાળી પછી થયેલ ત્રણ માવઠામાં કપાસ, તલી, મગફળીના પાકને મોટું નુકશાન થયેલ છે. આથી ખેડૂતોને સો ટકા વિમો મળવો જોઇએ.

બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થયેલ છે. આ અંગે કોંગ્રેસ દ્વારા પુરાવા અપાયેલ છે તો પરીક્ષા રદ કરવી જોઇએ. ખેડૂતોને સો ટકા પાક વિમો ચૂકવવા તથા કલાર્કની પરીક્ષા રદ કરવા સર્વાનુમતે ઠરાવ કરાયેલ..

નિરીક્ષક શ્રી રાજદીપસિંહએ જણાવેલ કે, ટંકારા તાલુકા પંચાયતની ૧૬ સીટો માટે સંયોજકની નિમણૂંક કરાશે તેમનું કાર્ય સંગઠનને મજબૂત બનાવવાનું રહેશે તેઓને ટ્રેનીંગ પણ અપાશે.

આ કારોબારી મીટીંગમાં મહામંત્રી દુષ્યંતભાઇ ભૂત, ગોપાલભાઇ ડી. રતનપરા, ખજાનચી ડી.એન. નંદાસણા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સભ્યો તથા ટંકારા તાલુકાના કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા.

(1:16 pm IST)