જુનાગઢ એબીવીપી દ્વારા સામાજીક સમરસતા દિનની ઉજવણી
પ્રજાકિય કાયદાનાં સ્વપ્ન દ્રષ્ટતા તરીકે ડો. આંબેડકરજી વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજાઇઃ સેંકડો વિદ્યાર્થીઓ જોડાયા
જુનાગઢ તા. ૧૦ :.. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર દેશમાં ૬ ડીસેમ્બર ડો. ભીમરાવ આંબેડરજીના નિર્વાણ દિને સામાજીક સમસરતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે જુનાગઢ એબીવીપી દ્વારા ૬ ડીસેમ્બરે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સેંકડો વિદ્યાર્થીઓ જોડાયા હતાં.
જુનાગઢની પી. કે. એમ. કોલેજ ખાતે વિશિષ્ટ કાર્યક્રમ યોજીને સમરસતા દિવસની ઉજવણી કરવામાં અવી હતી.
આ કાર્યક્રમમાં 'પ્રજાકીય કાયદાનાં સ્વપ્ન દ્રષ્ટા તરીકે ડો. બાબાસાહેબ આંબેડકર' જેવા વિષય પર વકતૃત્વ સ્પર્ધા માટે વિવિધ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને શ્રેષ્ઠ વકતાઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રમાણે પ્રમાણપત્રથી સન્માનીત કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જુનાગઢ નગરના મંત્રી જીતભાઇ મેઘાણી સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. તેમ કાર્યાલય મંત્રી જયભાઇ નિમાવતની યાદીમાં જણાવાયું છે.