દિપડો બગસરાના પાદરમાં પહોંચ્યોઃ૩ વાછરડીનું મારણ
છેલ્લા ત્રણ દિવસથી વન વિભાગની ટીમ દોડધામ કરે છે પરંતુ દિપડો ચાલાકીથી છટકી જતા હાથ લાગતો નથી
બગસરા, તા.૧૧: બગસરા તાલુકામાં અલગ અલગ જગ્યાએ લોકો તથા પશુઓ પર હુમલો કર્યો બાદ આજે દીપડો બગસરા શહેરમાં આવી પહોંચ્યો હતો. શહેરમાં આવેલી ગૌશાળામાં હુમલો કરી વાછડીઓનું મારણ કર્યું હતું. જેને કારણે ગ્રામ્ય વિસ્તાર બાદ હવે શહેરમાં દીપડાની હાજરીથી લોકો વધુ ભયભીત બન્યા છે.
વિગત અનુસાર બગસરા ના ગ્રામ્ય વિસ્તાર જેવા કે મોટા મુંજીયાસર સાપર સુડાવડ નવી હળીયાદ જુની હળિયાદ કડાયા સહિતના વિસ્તારમાં દિપડા દ્વારા હુમલો કરવાના બનાવો છેલ્લા છ દિવસથી બની રહ્યા છે આ દીપડાને પકડવા માટે તંત્ર દ્વારા પોતાની તમામ મહેનત લગાડી દેવામાં આવેલ છે. તેમ છતાં આજે આ દીપડો વહેલી સવારે બગસરાના પાદરમાં આવી પહોંચ્યો હતો બગસરા ને પાદરમાં આવેલી સીયારામ ગૌશાળામાં આ દીપડાએ હુમલો કરી ત્યાં ત્રણ વાછડીઓ નું મારણ કર્યું હતું. આ બનાવને પગલે વન વિભાગ તુરંત સ્થળ પર આવી પહોંચ્યું હતું તેમજ વધુ વાત વેગના પકડે તે માટે તાત્કાલિક આ વાછડીઓને અહીંથી હટાવી દેવા માટે ની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. તંત્ર દ્વારા ગમે તેટલી તૈયારીઓ કરવામાં આવે પરંતુ દીપડો તેમનાથી પણ વધુ ચાલાકીથી છટકી જતો હોય તંત્રને હાથે ચડતો નથી બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં હુમલાઓ કર્યા બાદ આજે આ દીપડો બગસરા ના પાદર માં પહોંચી જતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આ વિસ્તારની નજીક માં દ્યણી સરકારી શાળાઓ પણ આવેલી છે જેથી હવે વાલીઓને બાળકોને શાળાએ મોકલતા પણ ડર લાગી રહ્યો છે.