પોરબંદરમાં રખડતા પાગલોને સ્નાન કરાવીને વાળ કપાવી નવા કપડા પહેરાવીને મીઠાઇ ખવડાવી
નવા વર્ષના પ્રારંભે ભગવતી અન્નક્ષેત્ર દ્વારા માનવ સેવાની ઉકિતને સાર્થક કરાઇ
પોરબંદર, તા. ૧૧ : શ્રી ભગવતી અન્નક્ષેત્ર છાંયા દ્વારા નવા વર્ષના પ્રારંભે મનોદિવ્યાંગો સ્વચ્છતા કરવાનું અભિયાન હાથ ધરાયું હતું. જેમાં રોડ ઉપર ભ્રમણ કરતા પાગલોને નવળાવી, વાળ કાપી નવા કપડાં પહેરાવ્યા અને મીઠાઇ ખવડાવી હતી.
શહેરમાં કોઈ ભૂખ્યું સુવે નહીં તેવા શુભ સંકલ્પથી કથાકાર પૂજ્ય જીવણ ભગત દ્વારા છાયા ખાતે ભગવતી અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. આ અન્નક્ષેત્રમાં રસ્તે રખડતા પાગલો નિરાધાર લોકો વગેરે માટે આ અન્નક્ષેત્રની છ જેટલી રિક્ષાઓ કાયમ ૧૨૦૦ જેટલાં લોકો ને શહેરમાં ફરી સવાર સાંજ બંને સમય જમવાનું પહોંચાડે છે. આ ઉપરાંત દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી પૂજ્ય શ્રી જીવણ ભગત ( ભગત બાપુ) અને તેમની સાથે જોડાયેલા સેવાભાવી યુવાનો દ્વારા રસ્તે ફરતા મનોદિવ્યાંગ લોકોને નવડાવી બાલ દાઢી કરી અને દરેક પાગલોને નવા કપડાં પહેરાવી મીઠાઈ ખવડાવી અને સેવાના માધ્યમથી આ પરમહંસો સાથે દિવાળીની ઉજવણી કરી. માનવ સેવા એજ પ્રભુ સેવા ઉકિતને સાચા અર્થમાં સાર્થક કરી હતી.
પૂજય જીવણ ભગત અને ભગવતી અન્નક્ષેત્રની સેવાભાવી ટિમ દ્વારા આવા અનેક સેવાભાવી કાર્યો કરવામાં આવી રહ્રયા છે ત્યારે લોકોનો પણ આ સેવાકાર્યમાં સહયોગ મળતો રહે તેવી શુભભાવના સાથે શહેરના જાગૃત નાગરિકોએ અભિનંદન આપી આ અનોખી સેવાને બિરદાવી હતી.