સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th September 2019

ગોંડલમાં પૂ.હરિચરણદાસજી મહારાજના આર્શિવાદ લેતા વિજયભાઇઃ કથાનું રસપાન

શ્રીરામજી મંદિરે પૂ. રમેશભાઇ ઓઝાના વ્યાસાસને આયોજીત શ્રીમદ્ ભાગવત કથાનો વિરામ

ગોંડલ : શ્રીરામજી મંદિર ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન તેમજ પૂ. હરિચરણદાસજી મહારાજનાં આર્શિવાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લીધા હતાં. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

ગોંડલ તા. ૧૧ :.. ગોંડલમાં પૂ. હરિચરણદાસજી મહારાજના આર્શિવાદ આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ લીધા હતાં. તેમજ પૂ. રમેશભાઇ ઓઝાના વ્યાસાસને આયોજીત શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કર્યુ હતું.

આ તકે સાંસદ રમેશભાઇ ધડુક, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ક્રિકેટર ચેતેશ્વર પૂજારા તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

ગોંડલના રામજી મંદિરે ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહ સપ્તમ દિને ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ સૂક્ષ્મની શકિત જણાવી હતી, અપમાન અને અપમાનિત ની વ્યાખ્યા સમજાવી હતી તેમજ વર્તમાન શિક્ષણ પ્રણાલી અંગે ચિંતા વ્યકત કરી હતી.

શ્રીમદ ભાગવત સપ્તાહ અને પૂજય હરિચરણ દાસ મહારાજના આશીર્વાદ લેવા હરિભકતોની સાથોસાથ જાણીતા વકતા જય વસાવડા પણ ગોંડલ આવ્યા હતા અને જણાવ્યું હતું કે કહેવાય છે કે ભગવાન કૃષ્ણ દ્વારિકા જતા હતા ત્યારે ગોંડલમાં ટૂંકુ રોકાણ કર્યું હતું અને ત્યારથી જ ગૌમંડળ નામ પડ્યું હશે વિશ્વના સૌથી મોટા મોટીવેશનલ ભગવાન શ્રીકૃષ્ણ છે, સુખમાં જેટલા લોકોને સાથે રાખશો એટલું સુખ લંબાશે તેવું જણાવ્યું હતું. વ્યાસપીઠ પરથી ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝાએ શ્રોતાઓને જણાવ્યું હતું કે એક એક શબ્દ શ્રીકૃષ્ણ છે, ભાવ-અર્થ છાયા-ગોપીઓ છે અને જે રસ- સૃષ્ટિ તૈયાર થાય તે રાસ છે. સૂક્ષ્મની શકિત સ્થુળ કરતાં વધારે છે, પૃથ્વી કરતાં જળ સૂક્ષ્મ છે, જળ કરતાં તેજ, તેજ કરતાં વાયુ, વાયુ કરતા આકાશ, આકાશ કરતા આમ સ્થૂળ કરતાં સૂક્ષ્મની શકિત વધારે છે, શરીર તન સ્થુળ છે પણ મન પાસે શકિત વધારે છે, મન ભગવાનમાં લાગેલું હોય એ હંમેશા આનંદમાં હોય, જો એમ ન થાય તો નિરાશા દ્યેરી વળશે નિરાશા હતાશા અવસાદ તરફ લઈ જાય, અવસાદ એટલે ડિપ્રેશન અત્યારે ડિપ્રેશન ચિંતાનો વિષય છે, મેન્ટલ ડિસીઝ વધી રહ્યા છે મોબાઇલ, ઇન્ટરનેટ કોમ્પિટિટિવ વર્લ્ડમાં સર્વાઈવલ થવાનું છે, નાનકડી નિષ્ફળતા કે અપમાન માણસને હલાવી દે છે પરાજયને પચાવતા શીખવાની વાત મહત્વની છે.

સામેવાળો અપમાન કરી શકશે તેને રોકી નહીં શકીએ પણ એનાથી અપમાનિત થવું કે નહીં તે તમે નક્કી કરી શકો છો, સામેવાળો અપમાન કરી શકે અપમાનિત નથી કરી શકતો, અપમાનિત આપણે આપની સંમતિ વિના કયારેય ન થઈ શકીએ, જો તમે અપમાનિત સમજતા હો તો તેમાં આપણી સંમતિ હોય છે.

અમદાવાદ નો એક પ્રસંગ યાદ કરતા ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ જણાવ્યું હતું કે નિષ્ફળતા પચાવતાં છોકરાઓને શીખવાડો, હું અમદાવાદ ગયો ત્યારે એક બહેન મને મળવા આવ્યા હતા. બે દિવસ પહેલા જ તેની દીકરી એ આત્મહત્યા કરી લીધી હતી, દીકરીએ બારમા ધોરણની પરીક્ષા આપી હતી અને ડિપ્રેશનમાં રહેતી હતી કે મારે કેટલા ટકા આવશે ઓછા ટકા આવવાની બીકે આત્મહત્યા કરી લીધી હતી, આ દ્યટનાની કરુણતા એ કે બે દિવસ પછી જે રિઝલ્ટ આવ્યું જેમાં દીકરીએ ધાર્યા કરતાં વધારે ટકા આવ્યા હતા. આપણે એવી સિસ્ટમ ઊભી કરી નાખી છે કે છોકરાઓની જીંદગી દોઝખ કરી નાખી છે, આપણે છોકરાઓને ભણાવતા નથી તેના પર અત્યાચાર કરી રહ્યા છીએ, આ અંગે દરેક ચિંતા કરતા હોય છે, આ બહુ ચિંતાનો વિષય બન્યો છે, સરકાર મહાનુભાવો શિક્ષણ નીતિ તૈયાર કરી રહ્યા છે, પણ આપણે ગંભીરપણે વિચારવું પડશે કે સ્ટ્રેસ લેવલ વધી રહ્યું છે, ભણવાનું તો ગમવું જોઈએ, કેળવણી તો ખીલવણી છે, ફૂલની જેમ બાળક ખીલવો જોઈએ, અમદાવાદની આ ઘટના હું કદી ભૂલી શકતો નથી, ભણવામાં કોઇ બાળક નબળા માર્ક લાવે તો તે નબળું નથી તે ડિફરન્ટ છે, બીજા પ્રકારની ક્ષમતા તેનામાં હોય છે તેથી જ નિષ્ફળતા અને અપમાન સહન કરતા શીખવાડો.

ચંદ્ર પર મોકલેલું આપણું વિક્રમ મળી ગયું છે તેને ઇસરોના વૈજ્ઞાનિકોએ જગાડી રહ્યા છે થોડા વખતમાં હ... કરીને વિક્રમ જાગી પણ જશે આખો દેશ તાલી પાડશે નિષ્ફળતા પણ સફળતા ની ચાવી છે.

રામ નામ મે લીન હે દેખત સબ મેં રામ તાકે પદ વંદન કરું જય જય જલારામ વીરપુર ની જગ્યા એમને એમ ચાલે છે, રૂપિયો કોઈની પાસે લેવાતો નથી, આ ધર્મની તાકાત છે, જલારામ બાપાના નામે પરચા ની બુકો છપાવવાની જરૂર નથી, રામનામમાં મોટો પરચો છે, દમયંતીબેન સેજપાલ એ ઘણું લખ્યું છે, તે વાંચવાની જરૂર છે મોબાઈલ જરૂરિયાત પૂરતો જ લો બાકી તેને મૂકી દો અને હાથમાં પુસ્તકો લો તેવું અંતમાં જણાવ્યું હતું.

(11:43 am IST)