કાલે ગણપતિજીની મૂર્તિઓના વિસર્જન સાથે ગણેશ મહોત્સવનો વિરામ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વિવિધ કાર્યક્રમો યોજાશેઃ 'ગણપતિબાપા મોરીયા'ના નાદ ગુંજશે
પ્રથમ અને બીજી તસ્વીરમાં દામનગર ખાતે આયોજીત ગણેશ મહોત્સવ અને ત્રીજી તસ્વીરમાં ધારી ખાતે ગણેશજીને અન્નકુટ ધરાયો તે નજરે પડે છે (તસ્વીરઃ વિમલ ઠાકર-દામનગર, કાંતીભાઈ જોષી-ધારી)
રાજકોટ, તા. ૧૧ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બીજી સપ્ટેમ્બરથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો હતો અને છેલ્લા ૧૦ દિવસથી ઠેર ઠેર ગણેશજીની સ્થાપના સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે કાલે ૧૧માં દિવસે ગણેશજીની મૂર્તિઓના વિસર્જન સાથે ગણેશ મહોત્સવ વિરામ લેશે.
છેલ્લા ૧૦ દિવસથી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજે ગણપતિજીની પૂજા-અર્ચના કરવામાં આવશે. ત્યાર બાદ કાલે ગુરૂવાર સવારથી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે.
ધારી
ધારીઃ ધારીમાં દર વર્ષે ગણેશ સ્થાપના ઉત્સાહપૂર્વક ધામધૂમથી ઈલેકટ્રીક રોશનીથી જગમગાટ અને કલરીંગ લાઈટ ડેકોરેશનથી ભવ્ય ડોમ બનાવીને ગણપતિદાદાના ધારી શહેરમાં સ્થાપના કરવામાં આવેલ છે, ત્યારે ચંદ્રમોલેશ્વરના કુંવર દ્વારા ગઈકાલે ૫૬ (છપ્પન) ભોગ ધરવામાં આવેલ હતો. ગણપતિ દાદાને ભોગ ધરવામાં આવેલ તે પ્રસાદરૂપે ઘરે ઘરે તેમજ વેપારીઓને દુકાને દુકાને પ્લાસ્ટિકની ડબીમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવેલ હતું. તેવા જ ધારીના બજરંગ ગ્રુપના રાજા ગણપતી દાદાનું ભવ્ય પંડાલમાં લાઈટના ડેકોરેશનને પણ આકર્ષણનું સ્થાન પ્રાપ્ત કરેલ હતું. ધારીના શિવાલય પાછળ જોષીબાગમાં હિંમતભાઈ માસ્તર (શિક્ષક)ના ઘરે પણ સુંદર શણગાર સાથે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવેલ છે. તે ગણપતિ દાદાને પણ ૫૬ (છપ્પન) ભોગ ધરવામાં આવેલ હતો.
દામનગર
દામનગરઃ શહેરમાં બહારપરા મિત્ર મંડળ આયોજીત ગણપતિ મહોત્સવમાં રોજ રાત્રે મિત્ર મંડળ દ્વારા અલ્પહારની વ્યવસ્થા ગણપતિ પંડાલ ખાતે ભાવિકો દ્વારા શ્રીજી સમક્ષ રોજ રાસોત્સવનું આયોજન પૂર્વ પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા, કરમશીભાઈ કાસોદરિયા, જયંતિભાઈ નારોલા સહિત અનેકો સામાજિક અગ્રણીઓ તેમજ યુવક મંડળના સભ્ય રાજાભાઈ નારોલા, વિજયભાઈ કાસોદરિયા, વિજય વઢેળ, કાળુ એસ. ભાદાણી, વિશાલ વઢેળ, મગન પી. નારોલાનું સુંદર આયોજન બહારપરાના પંડાલમાં બિરાજીત શ્રીજીનું રાસોત્સવ અને કિર્તન દ્વારા અનુષ્ઠાન આકર્ષણનું કેન્દ્ર છે.